16 September, 2020 09:25 AM IST | Mumbai | Agency
સુશાંત સિંહ રાજપૂત
બૉમ્બે હાઈ કોર્ટમાં એનજીઓ ‘ઇન પર્સ્યુ ઑફ જસ્ટિસ’ દ્વારા સુશાંત કેસના મીડિયા દ્વારા કરાતા કવરેજ પર પ્રતિંબધ મૂકવાની માગણી કરતી કરાયેલી જનહિતની અરજી સંદર્ભે હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલાવી છે. આ મુજબની માગણી કરતી આ ત્રીજી અરજી કરાઈ છે. બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તાના વડપણ હેઠળની બેન્ચ ઓલરેડી આવી બે અરજીની સુનાવણી કરી રહી છે જેમાં એક અરજી પુણેના ફિલ્મ મેકર નીલેશ નવલખા અને અન્ય બે જણ દ્વારા કરાયેલી છે, જ્યારે બીજી અરજી રાજ્યના આઠ ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓ દ્વારા કરાયેલી છે. કોર્ટ હવે એ ત્રણે અરજીઓની એકસાથે ૮ ઑક્ટોબરે સુનાવણી કરશે.
‘ઇન પર્સ્યુ ઑફ જસ્ટિસ’એ તેની અરજીમાં માગ કરતા કહ્યું છે કે કોર્ટ તેના અવમાનનો વિસ્તાર વધારે. જ્યારથી એફઆઇઆર રજિસ્ટર્ડ થાય ત્યારથી જો ન્યાય પ્રણાલીમાં અંતરાય ઊભા કરાય તો તેને કોર્ટનું અવમાન ગણાય. એ ઉપરાંત મીડિયાને તેનું કવરેજ કરતું એટલિસ્ટ ત્યાં સુધી રોકવામાં આવે જ્યાં સુધી કોર્ટ આ અરજી પર નિર્ણય ન લે. અરજીમાં કહેવાયું છે કે સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ સંદર્ભે મીડિયા એ ઘટનાને લાગતી વળગતી કે પછી સંલગ્ન ન હોય એવી બાબતોને પણ જોડી દઈ જે રીતે ઉન્માદથી વર્તી રહ્યું છે એ હચમચાવી મૂકે એવું છે. આના કારણે ફ્રી પ્રેસ અને એડમિનિસ્ટ્રેશન ઑફ જસ્ટિસ વચ્ચે સંતુલન જાળવવા બંધારણીય જોગવાઈ ઊભી કરાય એ જરૂરી છે.