22 September, 2020 12:15 PM IST | Mumbai | Mumbai Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભાઈંદર-વેસ્ટમાં આવેલા ઉત્તન સમુદ્ર કિનારે સાઇકલ ટ્રૅકિંગ કરવા પહોંચેલા પાંચ લોકોને ડૂબતા બચાવી લેવામાં આવ્યા હોવાની ઘટના બની હતી. ડૂબી રહેલા લોકો પર સ્થાનિક લોકોનું ધ્યાન જતાં અને તેમની સતર્કતાથી મોટી હોનારત થતા બચી ગઈ હતી.
આ બનાવ વિશે સ્થાનિક નાગરિક અજિત ગંડોલીએ જણાવ્યું હતું કે ‘ગઈ કાલે સવારે લગભગ છ વાગ્યાની આસપાસ કાંદિવલીથી ત્રણ છોકરીઓ અને બે છોકરાઓનું એક ગ્રુપ ઉત્તન ભાટે બંદર ચોપાટી પર પહોંચ્યું હતું. એ વખતે સમુદ્રમાં ઓટ હોવાથી પાણી કિનારાથી ઘણું અંદર તરફ જતું રહ્યું હતું. એથી તેમને એમ કે પાણી તો ખૂબ અંદર છે એટલે આપણે સેલ્ફી લઈએ. બધાએ પોતાની સાઇકલ કિનારા પર મૂકીને ઊંચા પથ્થર પર જઈને સેલ્ફી લેવા લાગ્યા હતા. સેલ્ફી પાડવાના ક્રૅઝમાં તેઓ એટલા મશગૂલ થઈ ગયા કે પાણીનું સ્તર વધવા લાગ્યું છતાં તેમનું ધ્યાન ન રહ્યું. પોતાની મસ્તીમાં વ્યસ્ત આ લોકો તરફ સ્થાનિકોનું ધ્યાન જતાં તેઓ બૂમો પાડવા લાગ્યા અને તરત જ તેમને ત્યાંથી નીકળવા કહ્યું. અમે પણ ત્યાં પહોંચ્યા અને સમય રહેતા બધા કિનારા પર આવી જતાં થોડા માટે તેમનો જીવ બચી ગયો હતો. ગ્રુપના બધા શ્રીમંત પરિવારના હતા અને ગુજરાતી ભાષા બોલી રહ્યા હતા. તેમનો જીવ બચાવ્યો હોવાથી તેમણે માફી માગીને અમને ધન્યવાદ કહ્યું હતું.’