ચર્ચગેટ સ્થિત ઇન્કમ ટેક્સ બિલ્ડિંગના બેઝમેન્ટમાં ભીષણ આગ, સદ્નસીબે જાનહાનિ નહીં

17 August, 2026 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Fire: ચર્ચગેટમાં આવેલીસાત માળની ઇનકમ ટેક્સ ઓફિસની ઇમારત `આયકર ભવન`ના બેઝમેન્ટમાં આજે બપોરે ભિષણ આગ લાગી હતી; સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી; આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી

આયકર ભવનમાં ઉપરના માળે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડે બચાવ કામગીરી હાથ ધરી હતી (તસવીરઃ આશિષ રાજે)

દક્ષિણ મુંબઈ (South Mumbai) ના ચર્ચગેટ (Churchgate) વિસ્તારમાં આવેલા સાત માળના ઇનકમ ટેક્સ વિભાગ (Mumbai Income Tax Office) ના મુખ્ય મથક `આયકર ભવન` (Aayakar Bhavan) ના બેઝમેન્ટમાં સોમવાર, ૧૭ ઓગસ્ટની બપોરે ભીષણ આગ (Mumbai Fire) ફાટી નીકળી હતી. આગના કારણે બિલ્ડિંગના ઉપરના માળ સુધી ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા, જેના લીધે મ્યુનિસિપલ (BMC) સત્તાવાળાઓ અને ઇમરજન્સી સેવાઓએ ઉપરના માળે ફસાયેલા કર્મચારીઓ અને મુલાકાતીઓને સુરક્ષિત બહાર કાઢવા માટે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. આગની આ દુર્ઘટનામાં જાનહાનિના કોઈ અહેવાલ નથી.

આયકર ભવનના બેઝમેન્ટમાં લાગી આગ

મુંબઈ ફાયર બ્રિગેડ (Mumbai Fire Brigade) અને સિવિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સત્તાવાર અહેવાલો મુજબ, બપોરે આશરે ૨:૦૧ વાગ્યે આગનો ઇમરજન્સી કોલ મળ્યો હતો. આગ સાત માળની આ બિલ્ડિંગના બેઝમેન્ટ લેવલ પર લાગી હતી, જ્યાં ઇનકમ ટેક્સ વિભાગના મુખ્ય વહીવટી યુનિટ, ઓફિસ રેકોર્ડ સેક્શન અને સત્તાવાર ક્વાર્ટર આવેલા છે.

બેઝમેન્ટમાં જનરેટ થયેલો ઘાટો ધુમાડો અંદરની સીડીઓ અને વેન્ટિલેશન શાફ્ટ મારફતે ઝડપથી ઉપર તરફ ફેલાતાં બિલ્ડિંગની અંદર હાજર અનેક સ્ટાફ સભ્યો અને કરદાતાઓ ઉપરના માળે ફસાઈ ગયા હતા.

ચર્ચગેટ સ્થિત `આયકર ભવન`ના બેઝમેન્ટમાં આજે સવારે લાગેલી આગના અનેક વીડિયો સોશ્યલ મીડિયા પર પણ વાયરલ (Viral Video) થયા છે.

સ્થળ પર હાથ ધરાઈ બચાવ કામગીરી

ઘટનાની જાણ થતાં જ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. મુંબઈ ફાયર બ્રિગેડ (MFB) એ આગ પર કાબૂ મેળવવા અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ઓછામાં ઓછી ૪ થી ૫ ફાયર ફાઇટર ગાડીઓ, હાઇ-કેપેસિટી વોટર ટેન્કરો અને સ્પેશિયલાઇઝ્ડ એરિયલ ટર્ન-ટેબલ લેડર્સ (હાઇડ્રોલિક સીડીઓ) મોકલી આપી હતી.

આ કામગીરીમાં સ્થાનિક પોલીસ, બેસ્ટ (BEST) ના કર્મચારીઓ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation) ના વોર્ડ સ્ટાફ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા જોડાણથી કાર્યરત થયા હતા. અગ્નિશામક દળે હાઇડ્રોલિક સીડીઓની મદદથી ઉપરના માળે ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા, જ્યારે ફાયર ફાઇટર્સની ટીમે બેઝમેન્ટમાં ઉતરીને આગ ઓલવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

જાનહાનિના કોઈ સમાચાર નથી; તપાસ શરૂ

મ્યુનિસિપલ અને ઇમરજન્સી અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. બચાવકર્મીઓએ બિલ્ડિંગમાં હાજર તમામ લોકોને સફળતાપૂર્વક બહાર કાઢ્યા હતા અને ફાયર ફાઇટર્સે આગને ઉપરના માળ સુધી ફેલાતી અટકાવી હતી.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ કૂલિંગ ઓપરેશન પૂર્ણ થયા બાદ આગ લાગવાના મૂળ કારણની વિગતવાર તાંત્રિક તપાસ કરશે.

આ મામલે વધુ માહિતિની રાહ જોવાઈ રહી છે.

churchgate income tax department fire incident mumbai fire brigade brihanmumbai municipal corporation mumbai mumbai news