માનસિક રોગી પત્નીએ ધારદાર પથ્થર મારીને પતિને પતાવી દીધો

17 December, 2014 06:28 AM IST  | 

માનસિક રોગી પત્નીએ ધારદાર પથ્થર મારીને પતિને પતાવી દીધો



૫૬ વર્ષના દેબાશિષ ગોકુલ સેન ઇન્ડિયન ઑઇલ કંપનીમાં મૅનેજર તરીકે નોકરી કરતા હતા અને ગોવંડીમાં ઇન્ડિયન ઑઇલ નગરમાં રહેતા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના સોમવારે સવારે સાડાસાત વાગ્યે બની હતી, જ્યારે દેબાશિષ ઊંઘમાં હતા. દેબાશિષની પત્ની સુમિત્રાએ એક ધારદાર પથ્થરથી તેમની હત્યા કરી હતી અને તેમની પુત્રી અને અન્ય રિલેટિવ્સને જણાવ્યું હતું કે દેબાશિષ બાથરૂમમાં પડીને મૃત્યુ પામ્યા હતા. ત્યાર બાદ તેમની પુત્રીએ શિવાજીનગર પોલીસમાં ફરિયાદ કરી હતી.

શિવાજીનગર પોલીસ-સ્ટેશનના તપાસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ કેસમાં તેમની પુત્રી ફરિયાદી છે જેને આરોપીએ સૌથી પહેલાં ઘટનાની જાણ કરી હતી. તેના નિવેદનમાં પુત્રીએ જણાવ્યું હતું કે તેની માતા માનસિક રોગથી પીડાય છે અને આ માનસિક રોગના હુમલા દરમ્યાન તેણે તેના પિતાની હત્યા કરી હશે. અમે  ઘટનાસ્થળેથી ધારદાર પથ્થર જપ્ત કર્યો છે. સુમિત્રાની ભારતીય દંડસંહિતાની કલમ ૩૦૨ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ કોઈ કબૂલાત આપી નથી. તે માનસિક રોગથી પીડાય છે એની ખાતરી કરવા અમે તેને મેડિકલ તપાસ માટે થ્થ્ હૉસ્પિટલમાં લઈ જઈશું.’