07 September, 2020 07:12 AM IST | Mumbai | Shirish Vaktania
પ્રતીકાત્મક તસવીર
૧૩ લાખ રૂપિયાના બનાવટી ચલણી નોટોના કૌભાંડનો ભોગ બનેલા ગુજરાતના વેપારીએ જે બે આરોપીઓના નામ લીધા હતા, એ આરોપીઓએ માલવણી પોલીસ સ્ટેશનના બે કૉન્સ્ટેબલ્સના પણ નામ લીધા હતા. કેસમાં પાંચ આરોપીઓ છે. આરોપીઓ ૨૫ વર્ષના શાહબાઝ સંઘવાની અને 33 વર્ષના આબિદ ઇસ્માઇલ શાહ છે.
અન્ય ત્રણ આરોપીઓ જયસિંહ રાઠોડ, આસિફ સંઘવાની અને રફિક ભટ્ટીની શોધ ચાલે છે. આરોપીએ માલવણી પોલીસ સ્ટેશનના કૉન્સ્ટેબલ ડેવિડ બન્સોડે અને સબ ઇન્સ્પેક્ટર અનિલ સોનાવણે પણ સંડોવાયા હોવાનું આરોપીએ જણાવ્યું હતું. ફરિયાદી 28 વર્ષના યજ્ઞેશ કૃષ્ણકુમાર પંડ્યા જામનગરમાં રહે છે યજ્ઞેશ પંડ્યા જયસિંહ રાઠોડ અને રાજન દવેના સંપર્કમાં આવ્યા હતા.
આરોપીઓ રાજન દવે અને જયસિંહ રાઠોડે યજ્ઞેશને બનાવટી ચલણી નોટો બૅન્કના માધ્યમથી વ્યવહારમાં ફરતી કરવાનો વિકલ્પ બતાવ્યો હતો. તેમણે પહેલાં ૧૦૦૦૦ રૂપિયા બૅન્કમાં જમા કરવાનું કહીને કોઈને ખબર નહીં પડે એવી બાંયધરી આપી હતી. બન્ને આરોપીઓએ યજ્ઞેશને ૧૫ લાખ રૂપિયાની સાચી ચલણી નોટોની સામે એક કરોડ રૂપિયાની બનાવટી ચલણી નોટો આપવાની સ્કીમ બતાવી હતી. યજ્ઞેશે એમની એ સ્કીમમાં આગળ વધવા મુંબઈના વેપારી મહેન્દ્ર ઠક્કર પાસેથી ૧૩ લાખ રૂપિયા મેળવ્યા હતા. યજ્ઞેશ પંડ્યા ૨૫ ઑગસ્ટે ૧૩ લાખ રૂપિયા લઈને માલવણી પહોંચ્યા હતા. યજ્ઞેશ અને શાબાઝ સંઘવાની કારમાં બેઠા હતા. એ વખતે સબ ઇન્સ્પેક્ટર અનિલ સોનાવણે અને કૉન્સ્ટેબલ ડેવિડ બન્સોડેએ ત્યાં પહોંચીને રકમ જપ્ત કરી લીધી હતી. એ બન્નેએ યજ્ઞેશ પંડ્યાને ત્યાંથી નાસી જવાની મોકળાશ આપી હતી. યજ્ઞેશે જયસિંહ રાઠોડ સાથે વાત કરી ત્યારે એણે કહ્યું હતું કે કૌભાંડમાં સંડોવાયેલા અન્યોને પોલીસે પકડી લીધા છે. યજ્ઞેશે માલવણી પોલીસ સ્ટેશનમાં વાત કરી હતી. પોલીસ સ્ટેશનમાં કોઈને આવી ઘટના વિશે કઈં ખબર નહોતી. છેતરપિંડીનો અહેસાસ થતાં યજ્ઞેશે માલવણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.