30 May, 2020 12:42 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે કેસ પૉઝિટીવ આવ્યા છે ત્યારે મોટાભાગના કેસ મહાનગરી મુંબઇમાંથી જોવા મળે છે. અત્યાર સુધીમાં દસ વર્ષથી ઓછી વય ધરાવતાં લગભગ 700 જેટલા બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો. જેમાંથી મોટાભાગના બાળકોએ ટૂંક સમયમાં જ કોવિડ-19ને માત આપી હતી. કોવિડના બાળમરણ દર ખૂબ જ ઓછો લગભગ નગણ્ય રહ્યો છે, જો કે, ડૉક્ટર્સે ચેતવણી આપી છે કે કેટલાક બાળકોમાં કદાચ પુખ્ત વયના દર્દીઓમાં દેખાય તેવા નહીં પણ જુદા પ્રકારના કોરોનાના લક્ષણો દેખાય છે.
મોટાભાગનાં બાળકોમાં કોરોનાના લક્ષણો નહોતા
મુંબઇમાં કોરોનાના કુલ કેસમાં દસ વર્ષથી નાની વયના બાળકોના કેસ લગભગ બે ટકા જેટલા એટલે કે 700 જેટલા છે તેવી નોંધ કરવામાં આવી. નોંધનીય છે કે આ બધાં બાળકોમાંથી માત્ર એક જ બાળકનું મૃત્યુ થયું હતું. જ્યારે ૧૧થી ૨૦ વર્ષની વયના કિશોર તથા તરુણોના ૧,૨૦૦ કેસ તથા બે જણાના મોત નોંધાયા છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે કોરોનાગ્રસ્ત મોટાબાગના બાળકોમાં આ બિમારીનાં લક્ષણો જણાયાં ન હતા. અને જે બાળકોમાં કોરોનાના લક્ષણો જણાયા તે આ પ્રકારે હતા. કેટલાકને તાવ, ઉધરસ, શ્વાસોચ્છવાસમાં તકલીફ, પેટમાં ગરબડ, ડિહાઇડ્રેશન અને કંપન.
બાળકો થઈ જાય છે ઝડપથી સ્વસ્થ
બાળકોના રોગોના નિષ્ણાત ડોક્ટરોએ જણાવ્યુ કે કોરોના મહામારીમાં બાળકો ઝડપથી સાજા થાય છે. અને બાળ મરણદર ઓછો છે તે કોઇ ચમત્કાર નહીં પણ બાળકોની પ્રતિકારશક્તિ વધુ સક્ષમ હોવાનું પરિણામ છે. વળી આટલી નાની વયે બ્લડપ્રેશર, હૃદયરોગ, ડાયાબિટીઝ જેવી બિમારીઓ તેમને ન હોય તે પણ એક મહત્વનું પાસું છે.