હર્ડ ઈમ્યુનિટી ભારતમાં કોરોનાનો ઉકેલ બનશે?

07 May, 2020 08:54 AM IST  |  Mumbai | Vinod Kumar Menon

હર્ડ ઈમ્યુનિટી ભારતમાં કોરોનાનો ઉકેલ બનશે?

વરલીમાં ટેસ્ટ માટે થૂંકનો નમૂનો લેતા ડોક્ટર. તસવીર: આશિષ રાજે

કોરોના વાઇરસના રોગચાળાના ઉપચાર અને રસી શોધવામાં આખી દુનિયા જોતરાઈ ગઈ છે, ત્યારે સઘન વસ્તી ધરાવતા ભારતમાં લૉકડાઉનનો અંત આણવાની ભલામણ વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. સામૂહિક રોગપ્રતિકારકતા કેળવવાના ઉદ્દેશથી લૉકડાઉનને ખતમ કરવાની ભલામણ આરોગ્યના નિષ્ણાત વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. આ પ્રકારે કેળવાતી રોગપ્રતિકારકતા કોઈ પણ ચેપી રોગ સામે ઉપયોગી થાય છે. શીતળા, H1N1 વાઇરસ અને બીજા રોગચાળાને ડામવા માટે આ પદ્ધતિની અજમાયશમાં સફળતા મળી ચૂકી છે. સ્વીડનમાં કોવિડ-૧૯ના રોગચાળા સામે પણ આ પદ્ધતિની અજમાયશ સફળ રહી છે.

સિનિયર એલર્જી અને અસ્થમા સ્પેશ્યાલિસ્ટ ડૉ. વકાર શેખે જણાવ્યું હતું કે ભારતમાં કોવિડ-૧૯ના નિવારણનો એકમાત્ર માર્ગ સામૂહિક રોગપ્રતિકારશક્તિ કેળવવાનો છે. કારણકે જેમના કોરોના ટેસ્ટના રિપોર્ટ્સ પૉઝિટિવ મળ્યા છે, એમાંથી મોટાભાગના દરદીઓમાં બીમારીનાં લક્ષણો દેખાયાં નથી. લક્ષણો વગરના એ દરદીઓ જેમને અન્ય બીમારીઓ પણ હોય એવા દરદીઓ માટે જોખમી નીવડે છે. કારણકે એમને ચેપ લાગે તો જોખમ વધી જાય છે. ભારતમાં કડક લૉકડાઉનથી સામૂહિક રોગપ્રતિકારકતા કેળવી નહીં શકાય. ચીન, અમેરિકા અને યુરોપના દેશો તરફથી ફરી રોગચાળો ઊથલો મારવાનો ભય તોળાઈ રહ્યો છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ કોરોનાના બીજા રાઉન્ડની શક્યતા દર્શાવી છે. જો સામૂહિક રોગપ્રતિકારકતા નહીં કેળવાય તો બીજા રાઉન્ડમાં ભારતમાં ભયાનક તારાજી થશે. સ્વીડનની એક કરોડની વસ્તીમાંથી બાવીસ હજાર લોકોને ચેપ લાગ્યો હતો અને ૨૬૦૦ જણ મૃત્યુ પામ્યા હતા. પરંતુ સામૂહિક રોગપ્રતિકારકતા કેળવાતાં હવે ત્યાં કોવિડ-૧૯ના કેસ ઘટી રહ્યા છે.

ડી.વાય.પાટીલ મેડિકલ કૉલેજના પ્રોફેસર - હેડ ઑફ ધી ડિપાર્ટમેન્ટ ઑફ સર્જરી ડૉ. કેતન વાઘોલકરે જણાવ્યું હતું કે ભૂતકાળમાં સારાં પરિણામો આપી ચૂકેલી ‘હર્ડ ઇમ્યુનિટી’ એટલે કે ‘સામૂહિક રોગપ્રતિકારકતા’ કેળવવાનો એકમાત્ર વિકલ્પ હાલના સંજોગોમાં બચ્યો છે. ચેપી રોગોના નિષ્ણાત ડૉ. ઓમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે હાલ કંઈ પણ કહેવું ખૂબ વહેલું ગણાય. આપણે વધારે લોકોના ટેસ્ટ-રિપોર્ટ કરવા જરૂરી છે, કારણકે દસ જણની ટેસ્ટ કરીએ તો સામૂહિક રોગપ્રતિકારકતા કેળવાય, એ માટે જરૂરી પ્રમાણમાં એન્ટીબોડીઝ ફક્ત છ જણમાં હોઈ શકે છે. જોકે એક તબક્કે આપણે સામૂહિક રોગપ્રતિકારકતા કેળવવાનો વિકલ્પ અજમાવવો પડે એમ છે.

mumbai mumbai news vinod kumar menon coronavirus covid19