12 June, 2020 08:20 AM IST | Mumbai | Mumbai Correspondent
પ્રતીકાત્મક તસવીર
કર્જતમાં એક નવવિવાહિત જોડા તેમ જ તેમનાં બન્નેનાં માતા-પિતા વિરુદ્ધ પોલીસે લૉકડાઉનના નિયમોના ઉલ્લંઘનનો ગુનો નોંધ્યો છે. લગ્નમાં ૧૫૦ કરતાં વધુ મહેમાનો નિમંત્રિત કરાયા હતા. આ લગ્ન એક મંગલ કાર્યાલયમાં કરવામાં આવ્યાં હોવાથી તેના માલિક સામે પણ ગુનો નોંધાવો જોઈએ એવી માગણી ફરિયાદીએ કરી હતી.
કર્જતમાં રવિવારે બપોરે એક મંગલ કાર્યાલયમાં લગ્નસમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો. પોલીસ અને પ્રસાશને આ લગ્નમાં માત્ર ૫૦ મહેમાનોને હાજર રહેવા પરવાનગી આપી હતી. પોલીસ અને પ્રસાશનના અધિકારીઓ આ સમારોહ પર ચાંપતી નજર રાખી રહ્યા હતા. લગ્નસમારોહમાં તેમણે ગણતરી કરતાં ૫૦ને સ્થાને ૧૫૦ મહેમાનો હાજર હતા. પરિણામે પોલીસે કાર્યવાહી કરીને લગ્નના દિવસે જ વર-વધૂ અને તેમનાં માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જોકે હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. વર-વધૂને લગ્નને દિવસે જ દુભવવાનો મારો ઇરાદો નહોતો એમ જણાવતાં ફરિયાદીએ મંગલ કાર્યાલય દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાથી તેના માલિક સામે પણ ગુનો નોંધવામાં આવે એવી માગણી કરી હતી.