05 March, 2021 08:33 AM IST | Mumbai | Chetna Sadadekar
રસીકરણ કેન્દ્ર
કેન્દ્ર સરકારે પ્રાઇવેટ હૉસ્પિટલોને ૨૪ કલાક રસીકરણ અભિયાન હાથ ધરવાની છૂટ આપી છે, પરંતુ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)એ ૨૪ કલાક એનાં કેન્દ્રો કાર્યરત રાખતાં પહેલાં રાહ જોવાનું મુનાસીબ માન્યું છે. શહેરનાં રસીકરણ કેન્દ્રો પર પૂરતી ઑન-ધ-સ્પૉટ રજિસ્ટ્રેશન સુવિધાનો અભાવ છે.
પાલિકાએ ૨૩ સરકારી અને ૧૩ ખાનગી હૉસ્પિટલો પર અપૉઇન્ટમેન્ટ્સ વિના વૉક-ઇનની છૂટ આપી છે ત્યારે ઑન-ધ-સ્પૉટ રજિસ્ટરની સુવિધા માત્ર પાંચ સ્થળોએ જ ઉપલબ્ધ છે.
બીએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં ભારણને ટાળવા માટે તમામ કેન્દ્રો પર ઑન-ધ-સ્પૉટ નોંધણી શરૂ કરવામાં આવી નથી, કારણ કે મોટી હૉસ્પિટલો અગાઉથી જ પૂર્ણ ક્ષમતા સાથે સેશન હાથ ધરી રહી છે.
ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું કે ‘અમે ઇચ્છીએ છીએ કે વધુ લોકો પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવે, કારણ કે એનાથી બહેતર વ્યવસ્થાપન થશે અને આથી અમે તમામ હૉસ્પિટલોમાં ઑન-ધ-સ્પૉટ રજિસ્ટ્રેશન શરૂ કર્યું નથી.’