22 January, 2020 07:36 AM IST | Mumbai | Chetna Sadadekar
ગોરાઈનો ડમ્પિંગ ગ્રાઉન્ડ
આને તમે ગાર્બેજ ટુરિઝમ કહો કે પછી વેસ્ટ જનરેશન અને ટ્રિટમેન્ટ પર જાગૃતિ ફેલાવવાનો ઉપાય, પણ એક નવતર પહેલના ભાગરૂપે, બીએમસીએ નાગરિકોને - તેમણે ઉત્પન્ન કરેલા કચરાનું વ્યવસ્થાપન કેવી રીતે થાય છે, તે દર્શાવવાની યોજના ઘડી છે. આ કામગીરી ગોરાઈ લેન્ડફિલથી શરૂ થશે. ગોરાઈના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં હાલ તો ડમ્પિંગ બંધ કરી દેવાયું છે. બીએમસી કાંજુરમર્ગ અને મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડની આસપાસ ફેલાયેલી દુર્ગંધ ઘટાડવાના ઉપાયો તરફ પણ નજર દોડાવી રહી છે, જેથી વધુ ટુર હાથ ધરી શકાય.
મહાનગર પાલિકા તેમણે ઉત્પન્ન કરેલા કચરાનું શું થાય છે તે દર્શાવવાની યોજના ઘડી રહી છે અને સાથે જ લોકોને ઘરેલુ સ્તરે કચરાનું વિભાજન શી રીતે કરવું તે વિશે પણ માહિતી પૂરી પાડશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, લોકો ઘરેલુ સ્તરે કચરો છૂટો પાડતા હતા, પરંતુ તે કાર્ય પૂર્ણપણે થતું ન હતું.
એડિશનલ મ્યુનિસિપલ કમિશર તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ એસ.કે. કાકાણીના જણાવ્યા મુજબ, “હું નાગરિકો તથા વિવિધ અન્ય જૂથો માટે ટુર શરૂ કરવા ઇચ્છું છું. કચરાને પ્રોસેસ કરવા માટે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે, તે તેઓ જોઇ શકશે. એક વખત સ્વચ્છતા સર્વે સંપન્ન થઇ જાય, ત્યાર બાદ અમે વિગતવાર આ પ્રોજેક્ટ હાથ ધરીશું, હાલમાં તે અત્યંત પ્રાથમિક તબક્કામાં છે.”
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં દરરોજ 30 જેટલાં બાળકોનું અપહરણ કરાય છે
આ ટુર્સનો હેતુ કચરાના એકત્રીકરણથી લઇને તેને છૂટો પાડવાના સ્તર સુધીની તથા કચરાના પ્રોસેસિંગની કામગીરી દર્શાવવાનો છે. આ ટુર મારફત લોકો કચરો કેવી રીતે એકત્રિત કરવામાં આવે છે, ટ્રાન્સફર પોઇન્ટ્સ અને વિભાજન (છૂટો પાડવાનાં) એકમો ક્યાં આવેલાં હોય છે અને ડમ્પિંગ ગ્રાઉન્ડ કેવું હોય છે તે અંગેનું સંપૂર્ણ ચિત્ર મેળવશે. ડમ્પિંગ ગ્રાઉન્ડની સ્થિતિ નાગરિકોને મુલાકાત લેવા માટે સાનુકૂળ ન હોવાથી, બીએમસી આ પ્રોજેક્ટ માટે તેને વ્યવહારુ રીતે શક્ય બનાવશે. આ પ્રોજેક્ટ ગોરાઇ ગ્રાઉન્ડથી શરૂ કરવામાં આવશે.