15 September, 2020 09:43 AM IST | Mumbai | Prajakta Kasale
પ્રતીકાત્મક તસવીર
કોવિડ-19ની વચ્ચે તમામ લોકો માટે પ્રોપર્ટી ટૅક્સ માફ કરવા અંગે રાજ્ય સરકારના નિર્ણયની રાહ જોઈ રહેલા બીએમસીએ મુંબઈવાસીઓને બિલ મોકલ્યાં નથી. હવે બિલ પાઠવવા કે કેમ તે અંગે પાલિકા અવઢવમાં છે.
ગયા વર્ષે મુંબઈ મહાનગરપાલિકાએ ૫૦૦ ચોરસ ફુટ કરતાં ઓછું માપ ધરાવતાં ઘરો માટે કરમુક્તિના પ્રશ્નને કારણે આ પ્રક્રિયામાં વિલંબ કર્યો હતો. ચાલુ નાણાકીય વર્ષમાં બીએમસી ૬૭૬૮ કરોડ રૂપિયા પ્રોપર્ટી ટૅક્સ એકત્રિત કરવાની અપેક્ષા સેવી રહ્યું હતું, જે તેની કુલ આવકના એક-ચતુર્થાંશ જેટલો છે.
શહેરમાં આશરે ૪.૨૦ લાખ પ્રોપર્ટી ટૅક્સ ચૂકવનારા લોકો વસે છે, જેમાંથી ૧.૩૬ લાખ લોકોનાં ઘર ૫૦૦ ચોરસ ફુટ કરતાં નાનાં છે. આ ઘરો માટેનાં બિલ ગયા વર્ષે પણ જારી કરવામાં આવ્યાં નહોતાં.
‘અમે રાજ્ય સરકારને ૨૦૨૦-૨૧માં તમામ લોકો માટે પ્રોપર્ટી ટૅક્સ માફ કરવાની દરખાસ્ત મોકલી છે, પરંતુ હજી સુધી તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. અમે આ પ્રક્રિયા પર કાર્ય કરી રહ્યા છીએ અને આથી હજી સુધી બિલ જારી કરવામાં આવ્યાં નથી,’ તેમ બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું.