કાંદિવલી હાઇવે પર વિચિત્ર અકસ્માત : એકનું મોત, એક ઘાયલ

13 September, 2020 09:39 AM IST  |  Mumbai | Mumbai Correspondent

કાંદિવલી હાઇવે પર વિચિત્ર અકસ્માત : એકનું મોત, એક ઘાયલ

કાંદિવલી હાઇવે પર વિચિત્ર અકસ્માત

કાંદિવલી હાઇવે પર ગઈ કાલે બપોરે થયેલા વિચિત્ર અકસ્માતમાં એક જણનું મોત થયું હતું, જ્યારે એક જણ ઘાયલ થયો હતો.
આ અકસ્માત વિશે માહિતી આપતાં કાંદિવલી પોલીસ સ્ટેશનના ઑફિસરે કહ્યું હતું કે અકસ્માતની આ ઘટના શનિવારે બપોરે ૨.૩૦ વાગ્યે બની હતી. કુરાર ક્રાંતિનગરમાં રહેતા મનોજ પવાર અને પ્રકાશ આંબેકર બાઇક પર જઈ રહ્યા હતા ત્યાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે ત્યાં એમએમઆરડીએ રસ્તાની સાઇડમાં પતરાં ગોઠવ્યાં છે. એમાંથી એક પતરું મનોજ અને આંબેકરની ઉપર પડ્યું હતું. એ વખતે તેમની જમણી બાજુએ પસાર થઈ રહેલી ટ્રકમાં તેઓની બાઈક ભટકાઈ હતી અને બન્ને જણ રસ્તા પર પટકાયા હતા.

તરત જ અન્ય વાહનચાલકોએ તેમનાં વાહન અટકાવી તેમને મદદ કરવાના પ્રયાસ કર્યા હતા. એક જણને પતરાંની નીચેથી કાઢવામાં આવ્યો હતો. તેમને કાંદિવલી ઈસ્ટની શતાબ્દી હૉસ્પિટલ લઈ જવાયા હતા. જેમાંથી મનોજ પવારનું મૃત્યુ થયું હતું જ્યારે પ્રકાશ આંબેકરની હાલત ગંભીર હોવાનું પોલીસે કહ્યું હતું. સમતાનગર પોલીસે આ સંદર્ભે એમએમઆરડીએ અને ટ્રક ડ્રાઇવર સામે બેદરકારીનો ગુનો નોંધ્યો છે. ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

mumbai mumbai news kandivli