Mumbai Bhandup Tragedy: લગ્નપ્રસંગ માણવા આવેલા મહેમાનો ખાડામાં પડ્યા! ૧નું મોત, અન્ય ૧૦ જણ જખમી

24 April, 2026 12:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Bhandup Tragedy: લગ્નપ્રસંગ માટે આવેલ મહેમાનો નિર્માણાધીન એસઆરએ બિલ્ડિંગના ખાડામાં પડી ગયા હતા. ૧૧ લોકોને ઇજાઓ થઈ હતી તેમાંથી એક યુવાને દમ તોડી નાખ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

ભાંડુપમાં એક હચમચાવી નાખે તેવો કિસ્સો (Mumbai Bhandup Tragedy) સામે આવ્યો છે. અહીં એસઆરએ બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન સાઇટ પર મોટા ખાડામાં પડી જવાથી ૧૧ લોકો જખમી થયાં હતા જેમાંથી એક વ્યક્તિએ તો દમ પણ તોડી નાખ્યો છે. અહેવાલો અનુસાર બાજુમાં જ લગ્નનો હૉલ આવેલો હતો ત્યાં લગ્નપ્રસંગ માણવા માટે મહેમાનો આવ્યા હતા. આ દુર્ઘટનામાં જખમી થયેલા લોકોમાં આ મહેમાનોનો સમાવેશ થાય છે.

નિર્માણાધીન એસઆરએ બિલ્ડિંગના ખાડાએ જીવ લીધો ૧ યુવકનો

ભાંડુપ (પશ્ચિમ)માં જનતા માર્કેટ પાસે મેટ્રો મોલ પરિસર આવેલો છે અહીં જ આ કમકમાટીભરી ઘટના (Mumbai Bhandup Tragedy) બની હતી. જ્યાં આ ઘટના બની તેની નજીક જ માતોશ્રી મેરેજ હૉલ આવેલો છે. આ હૉલમાં લગ્નપ્રસંગ માટે આવેલ મહેમાનો નિર્માણાધીન એસઆરએ બિલ્ડિંગના ખાડામાં પડી ગયા હતા. ૧૧ લોકોને ઇજાઓ થઈ હતી તેમાંથી એક યુવાને દમ તોડી નાખ્યો હતો.

મુંબઈ ફાયર બ્રિગેડ (એમએફબી)ના સત્તાવાર નિવેદન અનુસાર આ ઘટના ગઇકાલે 23 એપ્રિલના રોજ રાત્રે આશરે 11:29 વાગ્યાની આસપાસ (Mumbai Bhandup Tragedy) બની હતી. આજે શુક્રવારે સવારે 8:00 વાગ્યે અપડેટ મળી હતી કે આ સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.

એક્ઝેક્ટલી બન્યું હતું એમ કે...

રિપોર્ટ્સ પ્રમાણે સૌથી પહેલાં તો એક જ વ્યક્તિ આ ખાડામાં (Mumbai Bhandup Tragedy) પડી ગઈ હતી. તેને બહાર કાઢવા માટે બીજા છ-સાત લોકો પ્રયાસ કરતાં હતા. બાજુમાં લગ્નના હૉલમાં પ્રસંગ માણવા આવેલા મહેમાનો બાંધકામ મજૂર હોઇ તેઓએ એક મોટા પાટિયાની મદદથી પેલા અંદર પડી ગયેલા વ્યક્તિને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પણ બન્યું એવું કે પાટિયું જ ખસી ગયું અને ખાડામાં ખાબકી ગયું. જેથી પેલા વ્યક્તિને બચાવવા ઉભેલા તમામ લોકો પણ ખાડામાં પડી ગયા હતા. આ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી.

ઈજાગ્રસ્તોને તાત્કાલિક અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  ભાલચંદ્ર ફાળે (25) નામના તરુણનું મોત થયું છે. જેની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન મોત નીપજ્યું હતું. તે સિવાય જયવંત ફરસાને (31) અને રમણ યાદવ (26)ને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.  શ્રેયસ સુર્વે (25) કે જેને ક્રિટીકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, તેની હાલત સ્થિર છે અને તેની સારવાર ચાલી રહી છે.  અન્ય ઈજાગ્રસ્તો અનિકેત કદમ, જયદીપ શાહ, સંકેત જુવાટકર, આદિત્ય આહેર, અનિકેત મહેશ પાટિલ અને અંકિત કુમારને પણ સામાન્ય ઇજાઓ થઈ હોઇ સારવાર આપ્યા બાદ ઘેર મોકલવામાં આવ્યા છે. તે ઉપરાંત અગ્રવાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ૪૩ વર્ષના હરિશંકર કરવાની હાલત સ્થિર છે.

અધિકારીઓએ તપાસ શરૂ કરી છે અને કન્સ્ટ્રક્શન સાઇટ પર થતાં આવા બનાવો (Mumbai Bhandup Tragedy)ને કારણે ફરી એકવાર સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થયા છે.

mumbai news mumbai bhandup Crime News mumbai crime news mumbai police