24 April, 2024 08:17 AM IST | Mumbai | Prasun Choudhari
છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ
વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪માં છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ખાતે પ્રવાસીઓની સંખ્યા ૧૬ ટકાના વધારા સાથે ૫.૨૮ કરોડ પર પહોંચી હતી. આ સાથોસાથ ઍર ટ્રાફિક મૂવમેન્ટ વાર્ષિક ધોરણે ૧૨ ટકાના વધારા સાથે ૩,૨૪,૯૭૨ પર પહોંચી હતી. ૧૧ નવેમ્બરે સૌથી વધુ ઍર ટ્રાફિક જોવા મળ્યો હતો અને મૂવમેન્ટ ૧૦૦૦ની સંખ્યા વટાવી ગઈ હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ૨૦૨૪ના નાણાકીય વર્ષમાં ૨.૬ કરોડની વિક્રમી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા હતા, જ્યારે ૨.૬૭ કરોડ પ્રવાસીઓ મુંબઈ ઍરપોર્ટ પરથી અન્યત્ર ગયા હતા.
ઍરપોર્ટના આંકડાઓ અનુસાર ૨૦૨૩-’૨૪ના નાણાકીય વર્ષ દરમ્યાન પ્રવાસીઓના ૪.૦૭ કરોડ લગેજની હેરફેર કરવામાં આવી હતી જે ગયા વર્ષની સરખામણીમાં ૩૧ ટકાનો વધારો દર્શાવે છે.
ઍરપોર્ટના ટોચના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘૧૧ નવેમ્બરે સૌથી વધુ ૧૯૩૨ ટ્રાફિક મૂવમેન્ટ જોવા મળી હતી. આ સાથે અત્યાર સુધીમાં એક જ દિવસમાં સૌથી વધુ ટ્રાફિક નોંધાયો હતો. તદુપરાંત ડિસેમ્બરમાં ૪૮.૯ લાખ પ્રવાસીઓ સાથે સૌથી વધુ માસિક ટ્રાફિક નોંધાયો હતો જે ૨૦૨૨ના ડિસેમ્બરની સરખામણીમાં ૧૩ ટકા વધુ હતો.’