26 September, 2020 11:20 AM IST | Mumbai | Mumbai Correspondent
પ્રતીકાત્મક તસવીર
હત્યા, હત્યાનો પ્રયાસ અને આખા વિસ્તારમાં દહેશત ઊભી કરનારા આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુરુવારે ઘાટકોપરમાંથી ઝડપી લીધો હતો. ૩૧ વર્ષનો રીઢો ગુનેગાર ત્રણ વર્ષથી ફરાર હતો. ક્રાઇમ બ્રાન્ચની ઘાટકોપર યુનિટ-૭ની ટીમને બાતમી મળ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરી હતી.
ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬ સહિત જેની સામે ૨૦૧૮માં ગુનો નોંધાયો હતો એ ૩૧ વર્ષનો ફરાર આરોપી ગુરુવારે ઘાટકોપરના ઇન્દિરાનગરમાં આવવાનો હોવાની બાતમી મળ્યા બાદ યુનિટ-૭ના સબ ઇન્સ્પેક્ટર સંજય સુર્વે તથા તેમની ટીમે છટકું ગોઠવીને તેની ધરપકડ કરી હતી.
આરોપીની તપાસ અને પૂછપરછ કરાયા બાદ આરોપીને ઘાટકોપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. તેની સામે ૨૦૧૭થી અત્યાર સુધી હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને મારામારી સહિત ઘાટકોપરમાં ૧૦ અને પાર્કસાઇટ પોલીસ સ્ટેશનમાં ૧૧ મળીને કુલ ૨૧ ફરિયાદ નોંધાઈ હોવાનું જણાયું હતું. આ સિવાય તેને ૨૦૧૭માં મુંબઈ, મુંબઈ સબર્બન અને થાણેમાંથી બે વર્ષ તડીપાર પણ કરવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૭ના ઇન્સ્પેક્ટર મનીષ શ્રીધનકર તથા તેમની ટીમે ક્રાઇમ બ્રાન્ચના ઉપરી અધિકારીઓના માર્ગદર્શનમાં આ કાર્યવાહી કરી હતી. આરોપી ઘાટકોપર (વેસ્ટ)માં ઇન્દિરાનગર-2માં રહેતો હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું હતું.