01 August, 2022 06:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
માનસિક બીમારીની સારવાર લઈ રહેલા 59 વર્ષીય વ્યક્તિએ રવિવારે મધ્ય મુંબઈના લોઅર પરેલમાં એક ફાઈવ સ્ટાર હોટલના નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના બપોરે એક વાગ્યે બની હતી. ઘટના બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર મૃતક, સોરાબ પેસી ખંડાલાવાલા લગભગ 11.20 વાગ્યે ભાડે કરેલી કેબમાં લંચ લેવા માટે ફાઇવ સ્ટાર હોટેલમાં આવ્યો હતો. તેમણે કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું કે 2005થી દક્ષિણ મુંબઈના ભાયખલા સ્થિત હોસ્પિટલમાં મૃતકની માનસિક બીમારીની સારવાર કરવામાં આવી રહી હતી. હાલમાં એનએમ જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મોતનો કેસ નોંધવામાં આવ્યો છે.
બીજી તરફ મહારાષ્ટ્રમાં વધુ એક આકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. થાણે જિલ્લામાં મુંબઈ-આગ્રા હાઈવે પર એક અકસ્માતમાં 40 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું. પોલીસે જણાવ્યું કે આ ઘટના રવિવારે રાત્રે બની હતી જ્યારે સંતોષ મિસ્ત્રી નામનો વ્યક્તિ તેના મિત્ર સાથે સ્કૂટર પર જઈ રહ્યો હતો. આ દરમિયાન ખારેગોન પાસે રસ્તા પર રેતી હતી, જેના કારણે સ્કૂટર સ્લીપ થઈ ગયું અને એક ટ્રકે મિસ્ત્રીને ટક્કર મારી હતી, આ અકસ્માતમાં થાણે જિલ્લાના વાગલે એસ્ટેટમાં રહેતા સંતોષ મિસ્ત્રીનું મોત થયું હતું.