28 March, 2026 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સાંતાક્રુઝ ચેમ્બુર લિન્ક રોડ (SCLR) પર ગુરુવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસે સ્કૂટરને અડફેટે લેતાં સ્કૂટરસવારનું મોત થયું હતું. આ ઘટનામાં કુર્લા-ઈસ્ટમાં રહેતા ૫૫ વર્ષના પૂજારી ત્રિવિક્રમ શ્રીપાદ આચાર્યનું મોત થયું હતું. પોલીસે બેસ્ટના ૪૨ વર્ષના ડ્રાઇવર કમલેશ કુમાર બરનલાલની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બેસ્ટની બસની ટક્કર લાગતાં સ્કૂટર પર જઈ રહેલા ત્રિવિક્રમ આચાર્ય સ્કૂટર સાથે રોડ પર પટાકાયા હતા. ત્યાર બાદ બસનું પાછળનું ટાયર તેમના પરથી ફરી વળતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં બસના ડ્રાઇવરે દારૂ પીધો નહોતો એવું જણાઈ આવ્યું હતું.
અકસ્માતને કારણે SCLR પર ટ્રાફિક જૅમ થઈ જતાં પોલીસ ઍક્શનમાં આવી હતી. બસને બાજુ પર લઈને ધીમે-ધીમે ત્યાંથી વાહનો છોડવામાં આવ્યાં હતાં.