21 March, 2020 10:33 AM IST | Mumbai | Mumbai Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશભરમાં ફેલાઈ રહેલા કોરોના વાઇરસના વધતા પ્રભાવનો સૌથી મોટો ફટકો ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને થયો છે. ભારતની બહાર અને દેશ અંતર્ગત અનેક ટૂર્સનાં આયોજન રદ કરવાં પડ્યાં છે. આનાથી ટૂર્સ કંપનીઓને અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે ટૂર્સ કંપનીઓ નુકસાન સામે કર્મચારીઓના પગારમાં ૩૦ ટકાનો કાપ મૂકશે.
આખા વિશ્વમાં કોરોના વાઇરસનો પ્રભાવ વધી રહ્યો છે. આ વાઇરસના પ્રભાવના લીધે દેશની બહાર આયોજિત કરવામાં આવેલાં તમામ આયોજનો રદ કરવામાં આવ્યાં છે. આની સીધી અસર ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી પર પડી છે. અમુક ટૂર્સ કંપનીઓએ ટૂર રદ કરી દીધી છે તો અમુક ટૂર્સ કંપનીઓએ તારીખને આગળ વધારી દીધી છે. ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી હોટેલો, ટ્રાવેલ એજન્ટ, પર્યટન સર્વિસવાળી કંપનીઓ, રેસ્ટોરાં, પારિવારિક મનોરંજન પાર્ક, ઐતિહાસિક સ્થળ, ક્રૂઝ, કૉર્પોરેટ પર્યટન અને સાહસિક પર્યટનને ભારે પ્રમાણમાં અસર થઈ છે.