મુલુંડનું સ્મશાન થયું ચોખ્ખુંચણક

08 November, 2011 08:17 PM IST  | 

મુલુંડનું સ્મશાન થયું ચોખ્ખુંચણક

 

 

જ્યાં એક સમયે ગંદકીનું સામ્રાજ્ય હતું ત્યાં હવે સ્વચ્છતા થઈ ગઈ છે અને જ્યાં સગવડોને અભાવ હતો ત્યાં સગવડો પણ ઊભી કરી દેવામાં આવી છે. જોકે આ પરિસ્થિતિ કેટલા દિવસ સુધી રહેશે એ જોવાનું રહેશે અને મિડ-ડે LOCALની નજર સતત એના પર રહેશે.

પહેલી વખત સ્મશાનની દયનીય હાલતનો ચિતાર ચોથી ઑક્ટોબરે આપવામાં આવ્યો હતો, જેમાં એક તરફ ગોડાઉનને બદલે લાકડાં ઉઘાડામાં બહાર કચરામાં પડી રહેતાં હતાં તો બીજી તરફ સ્મશાનમાં ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હતું. એટલું ઓછું હોય એમ ડાઘુઓને બેસવા માટેના હૉલમાં મોટા ભાગનાં લાઇટ-પંખા સુધ્ધાં નહોતાં ચાલતાં. ડાઘુઓને બેસવા માટે પ્રૉપર જગ્યા પણ નહોતી. સ્મશાનની આ અવદશા વિશેનો અહેવાલ આવ્યા બાદ સુધરાઈએ સંસ્થા સામે આંખ લાલ કરી હતી એટલું જ નહીં, ભારતીય જનતા યુવા મોરચા-ઈશાન મુંબઈએ પણ તીવ્ર આંદોલનની ધમકી આપી હતી. એની સામે છેવટે સંસ્થા સ્મશાનમાં રહેલી અગવડો દૂર કરવાની સાથે જ ગંદકી પણ દૂર કરવા મજબૂર થઈ હતી. સંસ્થાએ સ્મશાનમાં રહેલી ગંદકી પણ સાફ કરાવી દીધી છે અને લાકડાં પણ બહાર પડી રહેતાં હતાં એને ગોડાઉનમાં મુકાવી દીધાં છે તેમ જ ડાઘુઓ બેસી શકે એ માટે એક મોટો શેડ બાંધવામાં આવ્યો છે. ત્યાં બેઠકની વ્યવસ્થા પણ ટૂંક સમયમાં ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત પીવાના પાણીની પરબ પાસે રહેલી ગંદકી પણ દૂર થઈ ગઈ છે.

સ્મશાનભૂમિની હાલતમાં આવેલા સુધારા બાબતે મુલુંડ સ્મશાનનું સંચાલન કરતી અને ૧૯૨૪થી કાર્યરત મુલુંડ નાગરિક સભા સંસ્થાના ઉપાધ્યક્ષ પંકજ તન્નાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સ્મશાનમાં લાકડાં પૂરાં પાડનારા કૉન્ટ્રૅક્ટરે પોતાના પૈસે જ લાકડાં અંદર ગોડાઉનમાં મુકાવી દીધાં છે અને સ્મશાનમાં પડી રહેલો કચરો પણ છ ગાડીઓ જેટલો ભરાવીને સાફ કરાવી દીધો છે. સ્મશાનમાં એક ખૂણા પર શેડ પણ બાંધવામાં આવ્યો છે જેથી ડાઘુઓ ત્યાં નીચે છાંયડામાં બેસી શકે અને ચોમાસા દરમ્યાન વરસાદમાં ભીંજાવાનો ભય પણ ન રહે. આની સાથે લાઇટ-પંખા જે વ્યવસ્થિત ચાલતાં નથી એ પણ ટૂંક સમયમાં ઇલેક્ટ્રિશ્યનને બોલાવીને અમે રિપેરિંગ કરાવી લેવાના છીએ. એ સિવાય બહુ જલ્દી અમે સ્મશાનની અંદર પેવર બ્લૉક પણ બેસાડવાનો વિચાર કરી રહ્યા છે જેના પર આગામી દિવસોમાં નિર્ણય લઈ લઈશું.’

સિગ્નેચર કૅમ્પેન મોકૂફ

સ્મશાનભૂમિની દુર્દશા માટે મિડ-ડે LOCAL દ્વારા  સતત આપવામાં આવી રહેલા અહેવાલ બાદ એની હાલત સુધારવા માટે જાગી ઊઠેલા ભારતીય જનતા યુવા મોરચા-ઈશાન મુંબઈના સેક્રેટરી વિરલ શાહે કહ્યું હતું કે ‘અમે મંગળવારથી સ્ટેશનની બહાર વેસ્ટમાં સાંજે પાંચ વાગ્યાથી સિગ્નેચર કૅમ્પેન શરૂ કરવાના હતા, પણ મિડ-ડે LOCALમાં એને લગતો અહેવાલ આવ્યો અને તરત જ સાંજ પહેલાં તો સ્મશાનના સંચાલકોએ ત્યાં સાફસફાઈ કરાવી લીધી હતી. એટલે અમે હાલ પૂરતું અમારું આંદોલન પાછું ખેંચ્યું છે, પણ ભવિષ્યમાં જો સ્મશાન પ્રત્યે ફરી સંચાલકો તરફથી દુર્લક્ષ કરવામાં આવ્યું તો અમારે ફરીથી મેદાનમાં ઊતરવું પડશે.’


તસવીરો / અહેવાલ : સપના દેસાઇ