23 February, 2021 07:57 AM IST | Mumbai | Preeti Khuman Thakur
પાલઘરના જિલ્લા કલેક્ટર ડૉ. માણિક ગુરસલે રવિવારે મોડી રાતે સાતપટ્ટી, શિરગાંવ અને ઉમરોળી-બિરવાડીમાં ત્રણ મૅરેજ હૉલમાં દરોડા પાડ્યા હતા. અહીં ૮૦૦થી પણ વધુ લોકો હલદી સમારોહમાં ભાગ લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે તેઓમાંના મોટા ભાગના લોકોએ માસ્ક પહેર્યા નહોતા કે સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન પણ નહોતા કરી અને મોજમસ્તીથી કાર્યક્રમ માણી રહ્યા હતા.
પાલઘરના જિલ્લા કલેક્ટરના ડૉ. માણિક ગુરસલેએ ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘ઉમેશ પાટીલ, કુંદન મ્હાત્રે, દીપક જાધવ, ચંદ્રકાંત ટંડેલ, તુષાર ઠાકુર અને ચંદ્રકાંત ઠાકુર પર આઇપીસીની કલમ ૧૮૮, રોગચાળા અધિનિયમ, ૧૮૯૭ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટ, ૨૦૦૫ હેઠળ કેસ દાખલ કરાયો છે. અમે તેમને ફક્ત ૫૦ વ્યક્તિને આવા કાર્યક્રમમાં જવાની મંજૂરી આપી છે, પરંતુ લોકો નિયમનો ભંગ કરી રહ્યા હતા. લગ્નપ્રસંગ અગાઉથી નક્કી થયો હોવાથી અમે લગ્ન પર પ્રતિબંધ મૂક્યો નથી, પરંતુ કાયદાનું પાલન કરવું જરૂરી છે. કારણ કે આવી ઘટના પૂર્વનિર્ધારિત હોય છે, પણ એસઓપી જાળવી રાખવી પડે છે. અમુક કાર્યક્રમમાં દારૂ પણ પીવાતો હતો. સાતપટ્ટી અને બોઇસર પોલીસ-સ્ટેશનમાં આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, વરરાજાના પિતા, ડિસ્ક જોકી (ડીજે), કેટરર અને હૉલના માલિક સહિત અન્ય લોકોનો સમાવેશ છે. જોકે હજી સુધી કોઈની ધરપકડ કરી નથી.