03 November, 2019 10:47 AM IST | મુંબઈ | પલ્લવી સ્માર્ત
પ્રતિકાત્મક તસવીર
ધોરણ ૧૧ની કેન્દ્રીય ઍડ્મિનશન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે ત્યારે ૩ લાખ ૨૬ હજારમાંથી હજી એક લાખ કરતાં વધુ સીટ ખાલી છે. કૉલેજોમાં સીટ ખાલી પડી છે ત્યારે એ પુરવાર થઈ ગયું છે કે એફવાયજેસીના ઍડ્મિનશન માટે સીટોની ટકાવારી વધારવાની આવશ્યકતા નહોતી. એસએસસીના રિઝલ્ટમાં ૧૦ ટકાનો ઘટાડો થયાને પગલે સ્ટુડન્ટ્સને તેમની પસંદગીની કૉલેજ નહી મળી શકે એવા ડરે સરકારે સીટમાં ૧૦ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. જોકે ઍડ્મિનશનની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થયા બાદ કુલ ૨,૧૮,૭૨૫ સીટમાંથી ૧,૯૭,૪૮૭ સીટ પર સ્ટેટ બોર્ડના સ્ટુડન્ટ્સે ઍડ્મિનશન લીધું છે.
સ્ટેટ બોર્ડનું રિઝલ્ટ નબળું આવ્યા બાદ અન્ય બોર્ડના સ્ટુડન્ટ્સ સારી કૉલેજોમાં ઍડ્મિનશન મેળવશે અને મુંબઈ બોર્ડના સ્ટુડન્ટ્સ પાછળ રહી જશે એવા મહારાષ્ટ્ર બોર્ડના સ્ટુડન્ટ્સના વાલીઓના આક્ષેપને પગલે તેમને શાંત કરવાના હેતુથી આ નિર્ણય લેવાયો હતો. ઘણી બધી સીટો ખાલી રહી ગઈ હોવા છતાં અમે અન્ય રીતે સીટ આપી શકતા ન હોવાની ફરિયાદ ‘મિડ-ડે’ સમક્ષ કરતાં બોરીવલીની એક કૉલેજના પ્રિન્સિપાલે કહ્યું હતું કે સીટ વધારવાનું બધી કૉલેજો માટે ફરજિયાત નહોતું કરાયું.
કૉમર્સમાં સૌથી વધુ ૧,૩૪,૭૩૩ સ્ટુડન્ટ્સ, જ્યારે કે સાયન્સમાં ૫૯,૧૦૯ અને આર્ટ્સમાં ૨૧,૬૨૭ સ્ટુડન્ટ્સે ઍડ્મિનશન લીધું હતું.