12 July, 2020 12:24 PM IST | Mumbai Desk | Anurag kamble
એમએનએસના કાર્યકરોએ તોડફોડના કૃત્યનું ફેસબુક પર જીવંત પ્રસારણ કર્યું હતું.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ ગયા વર્ષના એક કાર્યક્રમના અનુસંધાનમાં રોષ દાખવવા શુક્રવારે મોડી રાતે ખારના પર્ફોર્મન્સ વેન્યુ ‘ધ હેબિટાટ’માં તોડફોડ કરી હતી. ૨૦૧૯માં સ્ટેન્ડ અપ કોમેડિયન અગ્રીમા જોશુઆએ ‘ધ હેબિટાટ’માં કરેલા પર્ફોર્મન્સમાં છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું હોવાને કારણે તોડફોડ કરી હોવાનું કહેવાય છે. વળી ગયા વર્ષની ઘટનાને કારણે હાલમાં તોડફોડ કરવાનું કારણ એવું છે કે એ પર્ફોર્મન્સનો વિડિયો સોશ્યલ મીડિયા પર ફરી રહ્યો છે.
શુક્રવારે રાતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના આઠ કાર્યકરો ‘ધ હેબિટાટ’માં ઘૂસી ગયા અને ધાંધલ મચાવવાનું શરૂ કર્યું હતું. અગ્રીમા જોશુઆએ લેખિત માફી માગ્યા પછી ધાંધલ અને ધમાલ કરતા કાર્યકરો ત્યાંથી બહાર નીકળ્યા હતા. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે એ ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો. અગ્રીમા જોશુઆએ ૨૦૧૯માં સ્ટેન્ડ અપ કોમેડીના એક પર્ફોર્મન્સમાં અરબી સમુદ્રમાં છત્રપતિ શિવાજી મહારાજના સ્મારક વિશે ટિપ્પણી કરી હતી. એ વિડિયો બે દિવસ પહેલાં ટ્વિટર અને ફેસબુક જેવા સોશ્યલ મીડિયા પર વહેતો થયો હતો. ત્યારપછી કેટલાક લોકોએ એ ટિપ્પણી દ્વારા શિવાજી મહારાજનું અપમાન થયું હોવાનો દાવો કર્યો હતો.
એમએનએસના કાર્યકરોએ તોડફોડના કૃત્યનું ફેસબુક પર જીવંત પ્રસારણ કર્યું હતું. સમગ્ર મામલે હોમ મિનિસ્ટર અનિલ દેશમુખે તપાસના આદેશ આપ્યા છે