મિડ-ડેનો સર્વે : પેટ્રોલના ભાવવધારાની અસર કોના પર કેટલી?

08 November, 2011 03:47 PM IST  | 

મિડ-ડેનો સર્વે : પેટ્રોલના ભાવવધારાની અસર કોના પર કેટલી?



(કાજલ ગોહિલ-વિલ્બેન)


મુંબઈ, તા. ૮


મનમોહન સિંહના પેટ્રોલના ભાવ વધારવાના નિર્ણયને નૅશનલ ઍડ્વાઇઝરી કાઉન્સિલ (એનએસી)ના મેમ્બર અને ફૉર્મર પ્લાનિંગ કમિશન મેમ્બર એન. સી. સક્સેનાએ સપોર્ટ કરતાં કહ્યું હતું કે ‘પેટ્રોલના જે ભાવ સરકાર વધારી રહી છે એ મિનિમમ છે અને એની લોકો પર કોઈ ખરાબ અસર નહીં પડે, કારણ કે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આખી ડીઝલ પર ચાલે છે અને ફક્ત પાંચ ટકા ભારતીયો પેટ્રોલ વાપરે છે. પૈસાદાર વર્ગ માટે આ ભાવવધારો નહીં સમાન જ છે.’


એનએસીનો દાવો કેટલી હદે ખરો છે એ ‘મિડ-ડે’એ કેટલાક અલગ-અલગ વર્ગના લોકો સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો હતો.


સાઇકલસવાર થશે ભિવંડીના વેપારી


મુલુંડના રહેવાસી અને ભિવંડી પાવરલૂમ અસોસિએશનના પ્રવક્તા શરદરામ સેજપાલ ભિવંડીના વેપારી છે. ૨૦ ડગલાં ચાલવા જેમને ગાડીની જરૂર પડે છે એવા શરદરામે પેટ્રોલના ભાવવધારા સામે લડવાનો ઉપાય શોધી કાઢ્યો છે. તેમણે એ વિશે કહ્યું હતું કે ‘મેં ૧૧-૧૧-૧૧ના દિવસે મારા માટે એક સાઇકલ લેવાનું વિચાર્યું છે અને એ સાઇકલ પર જ બને એટલી મુસાફરી કરીશ, જેથી હું ભવિષ્ય માટે થોડું પેટ્રોલ અને પર્યાવરણને દૂષિત થતું બચાવવાના પ્રયત્નોમાં યોગદાન આપી શકીશ. જો પેટ્રોલના ભાવ ઘટી ગયા તો પણ હું સાઇકલસવાર જ રહીશ.’


પેટ્રોલના ભાવ અમીરોને નહીં સતાવે


પેટ્રોલનો ભાવવધારો આમ આદમીને જ નડશે એમ જણાવીને ફેડરેશન ઑફ રીટેલ ટ્રેટર્સ વેલફેર અસોસિએશનના પ્રેસિડન્ટ (એફઆરટીડબ્લ્યુએ) વીરેન શાહે કહ્યું હતું કે ‘એક વેપારી તરીકે મારા ઓવરહેડ ખર્ચ વધશે તો હું મારે ત્યાં વેચાતી વસ્તુઓના ભાવ વધારી દઈશ. એની સીધી અસર સામાન્ય નાગરિક પર પડશે. આ બધાને લીધે ગરીબ વધુ ગરીબ અને અમીર વધુ અમીર બનતો જાય છે. આપણી સરકારને પેટ્રોલ ૨૩થી ૨૫ રૂપિયે લિટર મળે છે. જો એ ટૅક્સને નામે જમા થતા કાળા ધનને દેશના ભલા માટે વાપરતી થઈ જાય તો આપણને પણ પાકિસ્તાન, બંગલા દેશ અને શ્રીલંકાની જેમ પેટ્રોલ પચાસ રૂપિયા લિટર મળતું થઈ જાય.’


મજબૂરીથી કાઇનૅટિક ચલાવતી ફૅમિલી


મીરા રોડમાં રહેતી સ્વપ્નાલી વર્માને ઘર પાસેથી રિક્ષા અને બસ મળવામાં ઘણી તકલીફ થતી હોય છે. કેટલીક વાર કામને કારણે રાત્રે ઘરે પહોંચવામાં મોડું થતું હોવાથી તેણે કાઇનૅટિક સ્કૂટરનો ઉપયોગ કરવો પડે છે. આ વિશે સ્વપ્નાલીએ કહ્યું હતું કે ‘અમારે તો કાઇનૅટિક સિવાય કોઈ રસ્તો જ નથી, કારણ મીરા રોડમાં રિક્ષાવાળાઓની ખૂબ દાદાગીરી છે. હવે મહિનાના અંતમાં ખબર પડશે કે એ કેટલું ભારે પડે છે અને એ પછી અમે યોગ્ય પગલાં લઈશું.’


ટ્રાન્સપોર્ટરો-રિક્ષાવાળાઓ અને ટૅક્સીચાલકોને રાહત


પેટ્રોલના ભાવવધારાની ખરેખર અસર કેવી થશે એ વિશે મહારાષ્ટ્રના બૉમ્બે ગુડ્સ ટ્રાન્સપોર્ટ અસોસિએશનના સેક્રેટરી સુનીલ કાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી બધી ટ્રકો ડીઝલ પર ચાલ્ાતી હોવાથી ન તો અમારા પર કોઈ ભાવવધારાની અસર થશે કે ન સામાન્ય લોકો પર.’


એ જ રીતે મુંબઈની ૯૦ ટકા રિક્ષાઓ અને ૮૦ ટકા ટૅક્સીઓ સીએનજી (કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ) પર દોડતી હોવાથી સામાન્ય લોકોને તેમના રોજના વાહનવ્યવહાર માટે પણ ખિસ્સામાંથી વધુ રૂપિયા કાઢવા નહીં પડે. આમ સરવાળે સરકારનો પેટ્રોલના ભાવવધારાથી સામાન્ય લોકોને બહુ અસર નહીં થાય એ દાવો કેટલીક હદે સાચો પડતો જણાઈ રહ્યો છે.