પ્રવીણ મહાજનની પત્નીને ૭ લાખ ચૂકવવા રાજ્ય સરકારને આદેશ

25 December, 2011 02:45 AM IST  | 

પ્રવીણ મહાજનની પત્નીને ૭ લાખ ચૂકવવા રાજ્ય સરકારને આદેશ



જેલના સત્તાધીશોએ બેદરકારી બતાવીને સમયસર સારવાર ન આપતાં બીજેપીના વરિષ્ઠ નેતા પ્રમોદ મહાજનની હત્યાના આરોપમાં પકડાયેલા અને જેલવાસ દરમ્યાન મૃત્યુ પામેલા તેમના ભાઈ પ્રવીણ મહાજનનાં પત્ની સાંરગી મહાજનને સાત લાખ રૂપિયાનું વળતર રાજ્ય સરકારે આપવું જોઈએ એ પ્રકારનો આદેશ મહારાષ્ટ્ર સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશનને આપ્યો છે. એટલું જ નહીં, જવાબદાર મેડિકલ ઑફિસર સામે ઇન્ક્વાયરી બેસાડીને તેની સામે યોગ્ય પગલાં લેવાનો આદેશ પણ આપ્યો છે.


બીજેપીના નેતા પ્રમોદ મહાજનની ૨૦૦૬ની ૨૨ એપ્રિલે હત્યા કરવાના ગુના હેઠળ તેમના ભાઈ પ્રવીણ મહાજનની ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૦૭ની ૧૮ ડિસેમ્બરે તેમને ગુનેગાર ઠરાવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ નવેમ્બર ૨૦૦૯માં તેઓ પેરોલ પર બહાર આવ્યા હતા. રજા પૂરી થવાના આગલે દિવસે જ પ્રવીણ મહાજન ચક્કર આવીને પડી જતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ૩ માર્ચ ૨૦૧૦ના રોજ તેમનું હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. ત્યાર બાદ સારંગી મહાજને તેમના પતિને બ્લડપ્રેશર અને ડાયાબિટીઝની તકલીફ હોવાની જાણ જેલના સત્તાધીશોને કરી હોવા છતાં પ્રવીણ મહાજનને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવી ન હોવાથી જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની ફરિયાદ હ્યુમન રાઇટ્સ કમિશનમાં કરી હતી. સારંગી મહાજને કોઈ પણ પ્રકારના વળતરની માગણી કરી નહોતી, પણ તેમણે પોતાના પતિની સારવાર માટે ૨૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું મૌખિક રીતે કહ્યું હતું. એની સામે કમિશને તપાસ કરીને રાજ્ય સરકારને બે મહિનાની અંદર સારંગી મહાજનને હૉસ્પિટલના ખર્ચ તરીકે સાત લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.