09 September, 2021 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય રાઉત
મહારાષ્ટ્ર એકીકરણ સમિતિ (એમઈએસ)ને કર્ણાટકના બેલગામની સુધરાઈની ચૂંટણીમાં મળેલી હારને બુધવારે બીજેપીના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાના નેતા સંજય રાઉતના અહમનો પરાજય ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે એમઈએસના પરાજયને મરાઠી માણૂસનો પરાજય ગણી શકાય નહીં.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે દાયકા જૂના સીમા વિવાદનું બેલગામ મુખ્ય કેન્દ્ર રહ્યું છે. મહારાષ્ટ્ર અગાઉની બૉમ્બે પ્રેસિડન્સીનો ભાગ રહી ચૂકેલા બેલગામ પર ભાષાના આધાર પર દાવો કરતું આવ્યું છે. સોમવારે જાહેર થયેલાં પરિણામોમાં કર્ણાટકના શાસક પક્ષ બીજેપીને બેલગામની ૫૮ બેઠકની સુધરાઈની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળી હતી.
બેલગામમાં એમઈએસના પરાજયને મરાઠી માણૂસની હાર ગણાવતાં સંજય રાઉતના નિવેદન અંગે દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘હું માત્ર એટલું કહેવા ઇચ્છું છું કે આ મરાઠી માણૂસનો પરાજય નથી, કારણ કે મરાઠી માણૂસને કદી પરાજિત કરી શકાય નહીં. બેલગામમાં સંજય રાઉતના અહંકારની હાર થઈ છે. ત્યાં ચૂંટાયેલા બીજેપીના ૧૫થી વધુ કૉર્પોરેટરો મરાઠી છે. આથી મરાઠી માણૂસનો કે પક્ષનો પરાજય સમાન હોઈ શકે નહીં. મરાઠી માણૂસ પરાજિત થઈ શકે નહીં.’