22 December, 2011 07:57 AM IST |
મીરા-ભાઈંદરમાં નાની-મોટી કરીને લગભગ ૧૧૭ જેટલી હૉસ્પિટલો છે જેમાં મોટા ભાગની હૉસ્પિટલોમાં ફાયર સેફ્ટી સિસ્ટમની સુવિધા નથી અને અમુક પ્રાઇવેટ હૉસ્પિટલો તો રેસિડેન્શિયલ એરિયામાં આવેલી છે. એથી આગ જેવી કોઈ ઘટના બને તો મોટું નુકસાન થઈ શકે એટલે સલામતીના પગલારૂપે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડ દ્વારા હૉસ્પિટલોમાં સર્વે કરવામાં આવશે.
મીરા-ભાઈંદરની પ્રખ્યાત એવી તુંગા, કસ્તૂરી, સાંઈબાબા, ઓમ શાંતિ જેવી કેટલીયે હૉસ્પિટલોમાં ફાયર સેફ્ટી સિસ્ટમની ઊણપ છે. એટલે ફાયરબ્રિગેડ દ્વારા બધી હૉસ્પિટલોનો સર્વે કરવામાં આવશે. આ સર્વેને ચાર પ્રભાગમાં વિભાજન કરવામાં આવ્યો છે. ૮ જણના પથકમાંથી બે વ્યક્તિ પ્રત્યેક પ્રભાગમાં આવતી હૉસ્પિટલોમાં સર્વે કરશે. સર્વે બાદ આવશ્યક એવી ફાયર સેફ્ટી ન હોય એવી હૉસ્પિટલોને નોટિસ ફટકારી ફાયર સેફ્ટી માટે આવશ્યક એવી યંત્રણા લગાડવાનો આદેશ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને ફાયર સેફ્ટી અંગે સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં મીરા-રોડની ઉમરાવ હોસ્પિટલ આગનો સામનો કરવા માટે સુસજ્જ ન હોવાનો અહેવાલ આપવામાં આવ્યો હતો.