મેયર સ્નેહલ આંબેકરનું શૉકિંગ નિવેદન : ડેન્ગીનો તાવ સામાન્ય છે, એને મીડિયાએ મોટું સ્વરૂપ આપ્યું છે

12 November, 2014 03:17 AM IST  | 

મેયર સ્નેહલ આંબેકરનું શૉકિંગ નિવેદન : ડેન્ગીનો તાવ સામાન્ય છે, એને મીડિયાએ મોટું સ્વરૂપ આપ્યું છે




મુંબઈમાં અત્યારે ડેન્ગી સહિત અનેક ચેપી રોગોએ માથું ઊંચક્યું છે. સુધરાઈની હૉસ્પિટલો ઉપરાંત પ્રાઇવેટ હૉસ્પિટલોમાં ચેપી રોગોથી પીડાતા દરદીઓની સંખ્યા દિવસોદિવસ વધતી જાય છે. નોંધનીય છે કે KEM હૉસ્પિટલના ડૉક્ટરોને પણ ડેન્ગીનો ચેપ લાગ્યો છે. આ વિશેની ગંભીરતાની નોંધ લઈ શપથ લીધા પછી તરત જ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ડેન્ગી પર નિયંત્રણ લાવવાના પ્રયાસોની સમીક્ષા કરી હતી. આવી પરિસ્થિતિમાં મુંબઈનાં મેયર આને માત્ર હળવી બાબત ગણે એ જાણીને સૌને શૉક લાગ્યો છે.

ગઈ કાલે મેયર ઘાટકોપરમાં રાજાવાડી હૉસ્પિટલમાં ચેપી રોગોના દરદીઓની મુલાકાત લેવા ગયાં હતાં ત્યારે પત્રકારોએ તેમને પ્રશ્ન કરતાં તેમણે શહેરમાં ચેપી રોગોનું ઠીકરું સીધું મીડિયાને માથે ફોડ્યું હતું. ડેન્ગીનો તાવ સામાન્ય છે, એને મીડિયાએ મોટો કર્યો છે એમ જણાવી મેયરે પોતાના હાથ ઊંચા કરી દીધા હતા.