20 February, 2021 09:40 AM IST | Mumbai | Vinod Kumar Meno
મુંબઈ સેન્ટ્રલમાં નાયર હૉસ્પિટલમાં રસીકરણની પ્રક્રિયા દરમિયાન વિક્ટરીની મુદ્રા દર્શાવી રહેલી નર્સ.
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (એમએમઆર)માં કોરોનાના રોજિંદા કેસોની સંખ્યા ફરી વધવા માંડી છે અને શહેર પર સંભવતઃ સેકન્ડ વેવનું જોખમ ઝળૂંબી રહ્યું છે ત્યારે આરોગ્યનિષ્ણાતોનું કહેવું છે કે ફરીથી સક્રિય થઈ રહેલાં હૉટસ્પૉટ્સમાં રસીની ડિલિવરી વધારવાની અને મર્યાદિત આડઅસરો સાથે સામૂહિક રસીકરણના અન્ય માર્ગો તરફ નજર દોડાવવાની તાતી જરૂર છે.
ડી. વાય. પાટીલ મેડિકલ કૉલેજ ખાતે પ્રોફેસર ઑફ સર્જરી ડૉ. કેતન વાઘોલકરે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘કેસોમાં અચાનક જ આવેલા ઉછાળાને ચેતવણીરૂપ સંકેત ગણવો જોઈએ. જાહેર સ્થળોએ તકેદારીનાં તમામ પગલાં લાગુ કરવાં પડશે. કોમોર્બિડિટી કે ઍલર્જી ન ધરાવનારી કામ કરતી વસતિના સામૂહિક રસીકરણ વિશે વિચારણા કરવી જોઈએ. આમ કરવાથી કામ કરનારા વર્ગનું રક્ષણ થશે અને કોમોર્બિડિટી ધરાવતા લોકો તથા સિનિયર સિટિઝનોમાં સંક્રમણ ફેલાતું અટકશે.’
રસીની આડઅસરના મામલે SII, DCGI, ICMRને અદાલતની નોટિસ
કોવિશીલ્ડના એક વૉલન્ટિયરે રસીની ટ્રાયલ બાદ તેને ગંભીર આડઅસરો થઈ હોવા વિશે દાખલ કરેલી અરજીના આધારે મદ્રાસ હાઈ કોર્ટે ગઈ કાલે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (એસઆઇઆઇ), આઇસીએમઆર અને ડીસીજીઆઇને નોટિસ ફટકારી હતી. અરજકર્તાએ તેની પિટિશનમાં આક્ષેપ કર્યો છે કે રસીની આડઅસરને કારણે તેણે ૧૫ દિવસ હૉસ્પિટલના બિછાને રહેવું પડ્યું હતું. આ કારણે તેને અને તેના પરિવારે જે મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું એ બદલ તેણે પાંચ કરોડ રૂપિયાના વળતરની માગણી કરી છે.