શેઠે દીકરી ન આપી એટલે નોકરે તેને પતાવી નાખ્યો

19 December, 2012 05:38 AM IST  | 

શેઠે દીકરી ન આપી એટલે નોકરે તેને પતાવી નાખ્યો



દીકરી સાથે લગ્ન કરવા દેવાની ના પાડી રહેલા શેઠને એના નોકરે મોતને ઘાટ ઉતારવાનો કેસ ગઈ કાલે દહિસર (ઈસ્ટ)માં નોંધાયો હતો. દહિસર પોલીસે ૨૫ વર્ષના નોકર બ્રિજેશ ઉર્ફે સરદાર ચૌહાણની ગઈ કાલે ધરપકડ કરી હતી અને આજે એને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

મીરા રોડમાં ફૂલની દુકાન ધરાવતા જોગિન્દર ચૌહાણની દીકરીને એનો નોકર બ્રિજેશ એકતરફી પ્રેમ કરતો હતો. નોકર સાથે દીકરીને પરણાવવાની ના પાડતાં ઉશ્કેરાયેલા બ્રિજેશે ગઈ કાલે વહેલી સવારે જોગિન્દર ચૌહાણની ગળું કાપી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ તેણે શેઠની ડેડ બૉડી ૩૦૦ મીટર સુધી ઘસડીને ચાલમાં ફેંકી દીધી હતી. લોકો એમ સમજે કે જોગિન્દર દારૂ પીને પડી ગયો હશે એવી તેની ચાલ હતી. પોલીસને વહેલી સવારે જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને હત્યા કરવાના આરોપસર બ્રિજેશની ધરપકડ કરી હતી.

દહિસર પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘દહિસરમાં એસ. વી. રોડના શાંતિ ડોંગરી વિસ્તારની સાંઈકૃપા ચાલમાં રહેતા જોગિન્દરના ઘરે બ્રિજેશ છેલ્લાં ૧૨ વર્ષથી નોકર તરીકે કામ કરતો હતો. જોગિન્દરની દીકરી રાની પણ પિતા સાથે આ ઘરમાં રહેતી હતી અને બ્રિજેશ તેને ખૂબ પંસદ કરતો હતો. જોકે ત્રણ મહિના પહેલાં જોગિન્દરે તેની દીકરીનાં લગ્ન તેના ગામ ઉત્તર પ્રદેશના જૌનપુરમાં એક યુવક સાથે નક્કી કરી દીધાં હતાં અને તેને લગ્નની તૈયારી માટે ગામ પણ મોકલી દીધી હતી. લગ્નની જાણ થતાં બ્રિજેશે હાલમાં જોગિન્દરને કહ્યું હતું કે તે તેની દીકરીને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા ઇચ્છે છે, પણ જોગિન્દરે તેને તેની સાથે લગ્ન કરી આપવાનો ઇનકાર કયોર્ હતો. એથી બ્રિજેશે તેની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.’

દહિસર પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘જોગિન્દર મંગળવારે સવારે તેની દીકરીનાં લગ્ન માટે બૅન્કમાંથી ૬૦,૦૦૦ રૂપિયા લઈને ઘરે આવ્યો હતો. આ રૂપિયા બ્રિજેશે જોગિન્દરના હાથમાં જોઈ લીધા હતા. જોગિન્દરને નોકર બ્રિજેશની ડ્રગ્સ લેવાની અને દારૂ પીવાની આદતની જાણ હતી. એથી બુધવારે સવારે જ જોગિન્દરે આ રૂપિયા ઉત્તર પ્રદેશમાં બૅન્ક દ્વારા તેની દીકરીને ટ્રાન્સફર કરી દીધા હતા, પણ એ વિશે બ્રિજેશને જાણ નહોતી. જોગિન્દરની હત્યા કરી તેની પાસેના ૬૦,૦૦૦ લૂંટીને નાસી જવાનો તેનો પ્લાન હતો. બુધવારે રાત્રે ૧ વાગ્યે જોગિન્દર અને બ્રિજેશ વચ્ચે ઘરમાં આ રૂપિયાને લઈને ઝઘડો થયો હતો. એ વખતે બ્રિજેશે તેના શેઠનું ગળું કાપી તેની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ તેણે ઘરમાં રાખેલા તકિયામાંથી રૂ કાઢી ઘરમાં પડેલું લોહી સાફ કયુંર્ હતું અને ત્યાર બાદ જોગિન્દરની ડેડ બૉડી ઘસડીને ઘરની બહાર ૩૦૦ મીટર દૂર ચાલમાં ફેંકી દીધી હતી.’

પોલીસે એમ પણ કહ્યું હતું કે બ્રિજેશ ડ્રગ-ઍડિક્ટ છે. ચાર મહિના પહેલાં બ્રિજેશે મીરા રોડમાં એક સિનિયર સિટિઝન પર ચાકુ વડે હમલો કયોર્ હતો અને તેની કાશીમીરા પોલીસે ધરપકડ પણ કરી હતી.

એસ. વી. = સ્વામી વિવેકાનંદ