03 July, 2026 01:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉચ્ચ શિક્ષણ મંત્રી ચંદ્રકાંત પાટીલની ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર (Maharashtra)માં ઉચ્ચ શિક્ષણ અને શિક્ષણ ક્ષેત્રે નોકરીની આશા રાખતા હજારો ઉમેદવારો માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે મહારાષ્ટ્રની અનુદાનિત (એઇડેડ) કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ૫,૦૧૨ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવી દીધી છે. ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રી ચંદ્રકાંત પાટીલ (Chandrakant Patil)એ જાહેરાત કરી છે કે, જે પાત્ર સંસ્થાઓ અનામત રોસ્ટરની ઔપચારિકતાઓ પૂર્ણ કરશે, તેમને ઉચ્ચ શિક્ષણ નિયામક (DHE)ના `NOC પોર્ટલ` દ્વારા કોઈ પણ પ્રકારના વિલંબ વિના ઓનલાઈન નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળી જશે. આ નિર્ણયથી કોલેજોમાં લાંબા સમયથી બાકી રહેલી પ્રોફેસરોની નિમણૂકનો માર્ગ મોકળો બનશે.
મહારાષ્ટ્રના ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રી ચંદ્રકાંત પાટીલે ગુરુવારે વિધાન પરિષદમાં માહિતી આપી હતી કે, રાજ્ય સરકારે માન્યતા પ્રાપ્ત બિન-સરકારી અનુદાનિત (એઇડેડ) કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ૫,૦૧૨ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ઝડપી બનાવી છે. તેમણે ખાતરી આપી હતી કે જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરનારી પાત્ર સંસ્થાઓને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવામાં કોઈ અવરોધ નહીં આવે.
પ્રશ્નકાળ દરમિયાન એમએલસી (MLC) વિક્રમ કાલે દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન અને સભ્ય જયંત અઝગાંવકર, ચંદ્રકાંત રઘુવંશી તેમજ અભિજિત વંજારીના પૂરક પ્રશ્નોનો જવાબ આપતા પાટીલે જણાવ્યું હતું કે, સરકારે ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ જારી કરાયેલા સરકારી પ્રસ્તાવ (GR) દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસરની ૫,૦૧૨ ખાલી જગ્યાઓ પર ભરતીને મંજૂરી આપી હતી. આ જગ્યાઓની સમાન ફાળવણી ૨૩ માર્ચ, ૨૦૨૬ના રોજ પૂર્ણ કરવામાં આવી હતી.
પાટીલે જણાવ્યું હતું કે, અગાઉ મંજૂર કરાયેલી ૧૭૨ જગ્યાઓની સાથે આ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરો માટે હાથ ધરવામાં આવેલી સૌથી મોટી ભરતી ઝુંબેશ છે. તેમણે ઉમેર્યું હતું કે વર્તમાન સરકારે અગાઉ મંજૂર કરાયેલી આશરે ૨,૯૦૦ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ઓલરેડી પૂર્ણ કરી લીધી છે.
મંત્રીએ જણાવ્યું કે નાણા વિભાગે આ ભરતીને મંજૂરી આપી દીધી છે અને ૧ ઓક્ટોબર, ૨૦૨૫ સુધીમાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે ખાલી જગ્યાઓની વિષયવાર ફાળવણી કરવામાં આવી છે. દરેક વિષયમાં મંજૂર કરાયેલી જગ્યાઓમાંથી ઓછામાં ઓછી ૫૦ ટકા જગ્યાઓ ભરવામાં આવશે, જ્યારે હાલમાં એક પણ શિક્ષક ઉપલબ્ધ ન હોય તેવા વિભાગોને પ્રાથમિકતા આપવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને તમામ આવશ્યક વિષયોમાં ફેકલ્ટી (શિક્ષકો) મળી રહે.
શિક્ષણ મંત્રી ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે ઉચ્ચ શિક્ષણ વિભાગે પ્રથમ તબક્કામાં કોલેજોને વિષયવાર ખાલી જગ્યાઓ વિશે અગાઉથી જાણ કરી દીધી હતી. અનામત રોસ્ટરની ચકાસણી બાદ, સરકારે પાત્ર સંસ્થાઓને ઓનલાઈન નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવા માટે `DHE NOC પોર્ટલ` કાર્યરત કર્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કોલેજોએ ભરતી પહેલાં ફરજિયાત રોસ્ટર પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આ જરૂરિયાત પૂરી થયા પછી NOC જારી કરવામાં કોઈ મુશ્કેલી નહીં પડે.
મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, અગાઉની ભરતી પ્રક્રિયા દરમિયાન બઢતી (પ્રમોશન) અને અન્ય વહીવટી કારણોસર ૫૦૦થી વધુ જગ્યાઓ ખાલી રહી ગઈ હતી. આ સાથે તેમણે ઉમેર્યું કે પ્રાદેશિક સંયુક્ત નિયામકો (જોઇન્ટ ડિરેક્ટર્સ) ને કોલેજો દ્વારા સામનો કરવામાં આવતી ભરતી સંબંધિત કોઈપણ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા સૂચના આપવામાં આવી છે.