24 June, 2022 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત પવાર
એકનાથ શિંદેની સાથે શિવસેનાના જે વિધાનસભ્યો છે તેમના દ્વારા કહેવાયું હતું કે તેમને તેમના મતક્ષેત્રનાં વિકાસકામો કરવા પૂરતું ફન્ડ મળતું નહોતું. તેમના એ દાવાને ફગાવી દેતાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે દરેક વિધાનસભ્યને પૂરતું ફન્ડ આપવામાં આવ્યું છે એટલું જ નહીં, મેં ક્યારેય કોઈની સાથે પક્ષપાત કર્યો નથી.
રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના વિધાનસભ્યોની ગઈ કાલે સાંજે બેઠક પત્યા બાદ નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદીના નેતા અજિત પવારે કહ્યું હતું કે ‘અમારી સરકારમાં અમારા મિત્રપક્ષો તરફથી હાલ કેટલાંક સ્ટેટમેન્ટ કરાઈ રહ્યાં છે. હું લોકોને કહેવા માગીશ કે મહાવિકાસ આઘાડીની સરકાર અસ્તિત્વમાં આવી ત્યારે જ ૩૬ પાલક પ્રધાન નીમવામાં આવ્યા હતા. દરેક પક્ષના એક-તૃતીયાંશ સભ્યોને પાલક પ્રધાન બનાવાયા હતા. તેમને ફન્ડ આપતી વખતે ક્યારેય કાતર ચલાવી નથી. બજેટમાં વિધાનસભ્યોને જે પણ ફન્ડ ફાળવવામાં આવ્યું હોય એ ડોંગરી વિકાસ ફન્ડ અને ડીસીપી ફન્ડ એમ બધું જ ફન્ડ તેમને ફાળવવામાં આવ્યું છે. મેં એમાં ક્યારેય પક્ષપાત કર્યો નથી.’