23 June, 2022 11:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે યશવંતરાવ ચવાણ સેન્ટરમાંથી બહાર આવી રહેલાં શરદ પવાર અને સુપ્રિયા સુળે (તસવીર : અતુલ કાંબળે)
શિવસેનાની આગેવાની હેઠળની ત્રિપક્ષીય એમવીએ સરકારને તૂટવાની અણીએ ધકેલી દેનારી રાજ્યમાં ચાલી રહેલી રાજકીય કટોકટી વચ્ચે ઑલ ઇન્ડિયા કૉન્ગ્રેસ કમિટી (એઆઇસીસી)ના નિરીક્ષક કમલ નાથ ગઈ કાલે એનસીપીના સુપ્રીમો શરદ પવારને મળ્યા હતા.
યશવંતરાવ ચવાણ સેન્ટર પર કમલ નાથને મળ્યા બાદ શરદ પવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેમણે રાષ્ટ્રપતિની આગામી ચૂંટણી તેમ જ અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ પહેલાં શરદ પવાર એનસીપીના રાજ્ય એકમના પ્રમુખ જયંત પાટીલ તેમ જ ગૃહપ્રધાન દિલીપ વળસે-પાટીલને પણ મળ્યા હતા.
રાજ્યમાં થઈ રહેલી રાજકીય ઊથલપાથલને ધ્યાનમાં રાખીને એક દિવસ પહેલાં જ કમલ નાથની એઆઇસીસીના નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી હતી. કમલ નાથે ભારપૂર્વક જણાવ્યું હતું કે કૉન્ગ્રેસના નેતાઓ એક છે તથા તેઓ બિકાઉ નથી.