Maharashtra:રાજ્યપાલ કોશ્યારીએ ગુજરાતીઓની કરી પ્રશંસા તો સંજય રાઉત થયા કાળઝાળ 

30 July, 2022 11:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ભાષણની નિંદા કરતા કહ્યું કે રાજ્યપાલે મરાઠી ગૌરવને દુઃખ પહોંચાડ્યુ છે.

સંજય રાઉત

મહારાષ્ટ્રના રાજ્યપાલ બીએસ કોશ્યારી (Maharashtra Governor BS Koshyari)ના ભાષણ બાદ રાજ્યનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ભાષણની નિંદા કરતા કહ્યું કે રાજ્યપાલે મરાઠી ગૌરવને દુઃખ પહોંચાડ્યુ છે. તેમણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને વિનંતી કરી કે તેઓ રાજ્યપાલના નિવેદનોની નિંદા કરે. હકીકતમાં, રાજ્યપાલે તેમના ભાષણ દરમિયાન કહ્યું હતું કે જો મહારાષ્ટ્રમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને દૂર કરવામાં આવશે, તો મહારાષ્ટ્ર પાસે પૈસા નહીં બચે અને મુંબઈ હવે ભારતની આર્થિક રાજધાની કહેવાશે નહીં.

જાણો શું છે સમગ્ર મામલો
વાસ્તવમાં, રાજ્યપાલે શુક્રવારે મુંબઈના અંધેરીમાં એક કાર્યક્રમમાં બોલતા મારવાડી ગુજરાતી સમુદાયની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેઓ જ્યાં પણ જાય છે, તેઓ હોસ્પિટલો, શાળાઓ વગેરે બનાવીને સ્થળના વિકાસમાં ફાળો આપે છે. તેમણે કહ્યું કે જો મહારાષ્ટ્રમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને દૂર કરવામાં આવશે તો મહારાષ્ટ્ર પાસે એક પણ પૈસા બચશે નહીં અને મુંબઈને ભારતની આર્થિક રાજધાની કહેવાશે નહીં.

સંજય રાઉતે રાજ્યપાલ પાસેથી રાજીનામું માંગ્યું
ટ્વીટર પર રાજ્યપાલ કોશ્યારીનું ભાષણ શેર કરતી વખતે સંજય રાઉતે કહ્યું કે “રાજ્યપાલનો મતલબ છે કે મહારાષ્ટ્ર અને મરાઠી લોકો ભિખારી છે. મુખ્યમંત્રી શિંદે, તમે સાંભળો છો? જો તમને સ્વાભિમાન હોય તો રાજ્યપાલનું રાજીનામું માગો."

રાજ્યપાલે તાત્કાલિક માફી માંગવી જોઈએઃ પ્રિયંકા ચતુર્વેદી
બીજી તરફ શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે આ મહારાષ્ટ્રના લોકો અને મરાઠી માનુષની મહેનતનું અપમાન છે, જેમણે રાજ્યને દેશનું અગ્રણી રાજ્ય બનાવવા માટે દિવસ-રાત કામ કર્યું છે. રાજ્યપાલે તુરંત માફી માંગવી જોઈએ, જે નિષ્ફળ જશે તો અમે તેમની બદલીની માંગ કરીશું.

કોંગ્રેસ નેતા સચિન સાવંતે પણ નિશાન સાધ્યુ
કોંગ્રેસ નેતા સચિન સાવંતે પણ વીડિયો શેર કર્યો અને કહ્યું કે મહારાષ્ટ્રના રાજ્યપાલ દ્વારા મરાઠી લોકોનું અપમાન ભયાનક છે. તેણે તરત જ માફી માંગવી જોઈએ.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે પણ આપી પ્રતિક્રિયા
કોંગ્રેસ નેતા જયરામ રમેશે પણ મહારાષ્ટ્રના રાજ્યપાલ પર પ્રહાર કર્યા છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે તેનું નામ `કોશ્યારી` છે. પરંતુ ગવર્નર તરીકે તેઓ જે બોલે છે અને કરે છે તેમાં થોડી પણ `હોશિયારી`નથી. તે ખુરશી પર એટલા માટે જ બેઠા છે કારણ કે આપણે `હમ દો`ની આજ્ઞાનું નિષ્ઠાપૂર્વક પાલન કરે છે.     

mumbai news shiv sena sanjay raut