01 August, 2022 07:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ સોમવારે તેમની ટિપ્પણી બદલ માફી માગી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે જો ગુજરાતીઓ અને રાજસ્થાનીઓનું અસ્તિત્વ નહીં હોય તો મુંબઈ આર્થિક રાજધાની નહીં રહે. તમને જણાવી દઈએ કે તેમની આ ટિપ્પણીને લઈને ઘણો રાજકીય હંગામો થયો હતો. હવે તેમની તરફથી આ ટિપ્પણી બદલ માફી માગવામાં આવી છે.
મુંબઈના પશ્ચિમી ઉપનગર અંધેરીમાં એક ચોકના નામકરણ સમારોહમાં પોતાના ભાષણમાં કોશ્યારીએ 29 જુલાઈના રોજ કહ્યું હતું કે “હું અહીંના લોકોને કહેવા માગુ છું કે જો મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈ અને થાણેમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને દૂર કરવામાં આવે તો રાજ્ય પાસે પૈસા નહીં હોય અને ન તો મુંબઈ આર્થિક રાજધાની રહેશે.”
આ ટિપ્પણીના વિવાદ બાદ રાજ્યપાલે બીજા દિવસે 30ના રોજ કહ્યું હતું કે “તેમની ટિપ્પણીની ગેરસમજ થઈ છે.” તેમણે કહ્યું કે તેમનો “મરાઠી ભાષી લોકોની મહેનતને નબળી પાડવાનો કોઈ ઈરાદો નથી.” જોકે તેમ છતાં આ મામલો ઠંડો ન પડતાં તેમણે માફી માગવી પડી છે.”