13 May, 2022 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિડ-ડે લોગો
મહારાષ્ટ્ર ઍન્ટિ-કરપ્શન બ્યુરો (એસીબી)એ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ના અધિકારીઓનાં નામોનો ઉપયોગ કરીને વિવિધ ખાનગી કંપનીઓ પાસેથી ૫૮.૯૬ કરોડ રૂપિયા કરતાં વધુ રકમ સ્વીકારનાર આરોપી વ્યાવસાયિક જિતેન્દ્ર નવલાણી સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યો છે.
ઈડીના અધિકારીઓના ઇશારે જિતેન્દ્ર નવલાણીએ બિલ્ડર્સ અને વ્યાવસાયિકો પાસેથી કરોડો રૂપિયા વસૂલ્યા હોવાનો આક્ષેપ કરનાર શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે આરોપી દેશ છોડીને ભાગી ગયો છે કે કેમ એવો સવાલ કરતાં જણાવ્યું હતું કે જો તે નાસી છૂટ્યો હોય તો કેટલીક વગદાર વ્યક્તિઓએ તેને આમ કરવામાં મદદ કરી છે.
ઈડીના અધિકારીઓનાં નામોનો ઉપયોગ કરીને જુદા-જુદા વ્યાવસાયિકો પાસેથી નાણાં વસૂલવા બદલ એસીબીએ આરોપી અને અન્યો સામે પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટની કલમો હેઠળ એફઆઇઆર દાખલ કર્યાના દિવસો બાદ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરાયો હતો.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘એફઆઇઆર નોંધાયા પછી જિતેન્દ્ર નવલાણી અદૃશ્ય થઈ ગયો હતો અને તેણે એસીબી દ્વારા જારી કરાયેલા સમન્સની પણ કોઈ પ્રતિક્રિયા આપી નહીં. એ પછી તપાસકર્તા સંસ્થાએ તેની સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યો હતો.’