15 March, 2023 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ડોમ્બિવલી અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. આ મુખ્યત્વે ટૅન્કર માફિયા અને સપ્લાય લાઇનોમાંથી લીકેજને કારણે થઈ રહ્યું છે. આ વાતનો ખુલાસો સોમવારે રાત્રે થયો હતો, જ્યારે મહારાષ્ટ્રના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે ડોમ્બિવલી ઔદ્યોગિક વિસ્તારની ઓચિંતી મુલાકાત લીધી. તેમણે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે ઓછામાં ઓછા 27 ગામોમાં ફરી એકવાર પાણીની અછત સર્જાઈ છે.
મંત્રીએ પોલીસને પાણી ચોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, MIDC વિસ્તારમાં વિશાળ ટાંકીઓ સાથેનો મિનરલ વોટર પ્લાન્ટ મંજૂરી વિના કાર્યરત જોવા મળ્યો હતો. તેમણે આ અંગે સુધરાઈ પ્રમુખને પગલાં લેવા જણાવ્યું હતું.
સામંતે જણાવ્યું કે તેઓ એ જાણીને ચોંકી ગયા હતા કે MIDC અને કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય સપ્લાય લાઇનમાંથી મોડી રાત્રે પાણી બહાર કાઢવામાં આવ્યું હતું.