એલબીએસ રોડના વિસ્તરણનો વિરોધ

24 October, 2012 07:56 AM IST  | 

એલબીએસ રોડના વિસ્તરણનો વિરોધ



લાલબહાદુર શાસ્ત્રી (એલબીએસ) રોડના વિસ્તરણ બાબતે મુંબઈ મહાનગરપાલિકાની આઠ વર્ષથી ચાલી આવેલી લડતનો અંત ટૂંક સમયમાં દેખાતો નથી. સાયનથી મુલુંડના જે દુકાનદારોને નોટિસો મોકલવામાં આવી છે એમાંથી મોટા ભાગના દુકાનદારો પોતાની જગ્યા છોડવા માગતા નથી. તેમણે યોગ્ય પુનર્વસન ન કરવામાં આવે ત્યાં સુધી દુકાન ખાલી કરવાનો ઇનકાર કરી દીધો છે. વેપારીઓના આ આંદોલનને એનસીપીના ઘાટકોપર તાલુકાના અધ્યક્ષ રાજુ ઘુગેનો પણ સાથ મળ્યો છે.

વેપારીઓના આંદોલન વિશે માહિતી આપતાં રાજુ ઘુગેએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ઘાટકોપરમાં ૫૬૬ વેપારીઓને સુધરાઈએ જગ્યા ખાલી કરવાની નોટિસ આપી છે. જોકે વેપારીઓના યોગ્ય પુનર્વસનની યોજના ઘડવામાં આવી ન હોવાથી એકેય વેપારી પોતાની જગ્યા ખાલી કરવા તૈયાર નથી. આ બાબતને ધ્યાનમાં લેતાં મેં સુધરાઈને એક પત્ર લખીને એવી વિનંતી કરી છે કે વેપારીઓને બની શકે ત્યાં સુધી તેમના જ વિસ્તારમાં દુકાન આપીને તેમનું પુનર્વસન કરવામાં આવે.’

વેપારીઓના પુનર્વસનમાં રહેલી સમસ્યાઓને ધ્યાનમાં લેતાં રાજુ ઘુગેએ એક સૂચન કર્યું છે કે ‘સુધરાઈ શહેરમાં ૧૦૩ માર્કે‍ટ બાંધવાની છે એવા અહેવાલો વાંચવામાં આવ્યા છે, જો સુધરાઈ ખરેખર માર્કે‍ટ બાંધવાની હોય તો એક માર્કે‍ટ ઘાટકોપરમાં આ વેપારીઓના પુનર્વસન માટે ફાળવી ન શકાય?’

શ્રેયસ થિયેટર પાસે દુકાન ધરાવતા ચેતન શાહે કહ્યું હતું કે ‘હું છેલ્લાં ૨૫ વર્ષથી આ દુકાન ચલાવું છું. આ વિસ્તારમાં આવેલી બધી જ દુકાનો અત્યારે વેલએસ્ટાબ્લિશ્ડ અને પૉશ એરિયામાં હોવાથી કોઈ પણ જગ્યા છોડવા તૈયાર નથી. બીજી તરફ સત્તાવાળાઓ પણ યોગ્ય વિકલ્પ આપતા ન હોવાથી મડાગાંઠ સર્જાઈ છે. અમારી દુકાન તોડ્યા પછી અમને ક્યાં રાખવામાં આવશે એનો તેમની પાસે કોઈ જવાબ જ નથી.’

રેડી રેક્નરના દર પ્રમાણે વેપારીઓને વળતર આપવાના પ્રસ્તાવનો જવાબ આપતાં રાજુ ઘુગેએ કહ્યું હતું કે ‘રેડી રેક્નરના દરે વળતર આપવાનો પ્રસ્તાવ સાવ ખોટો છે. જે દુકાનદારની દુકાનનું મૂલ્ય ૫૦ લાખ રૂપિયા હોય તેને રેડી રેક્નરના દરે માત્ર ૧૫ લાખ રૂપિયા જ મળે અને આ કિંમતમાં ઘાટકોપરમાં તે બીજે ક્યાંય દુકાન પણ લઈ ન શકે. આ સંપૂર્ણ રીતે અયોગ્ય છે.’