કોવિડ-19 રોગચાળા દરમિયાન સફળતાપૂર્વક પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી

22 July, 2020 03:22 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

કોવિડ-19 રોગચાળા દરમિયાન સફળતાપૂર્વક પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી

પ્રતીકાત્મક તસવીર

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ (KDAH)એ આજે કોવિડ-19 રોગચાળા દરમિયાન મુંબઈની પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થવાની જાહેરાત કરી હતી. નાંદેડની એક 53 વર્ષીય મહિલાનું હાર્ટ ગંભીર રીતે ફેઇલ થયું હતું અને હૃદયની સ્થિતિ સુધારી ન શકાય એવી ખામી પેદા થઈ હતી. જ્યારે કોવિડ-19 રોગચાળાની શરૂઆત થઈ હતી, ત્યારે એમને નવું હૃદય મળવાની શક્યતામાં ઘટાડો થયો હતો, કારણ કે અંગદાન અને અંગ પ્રત્યારોપણમાં તીવ્ર ઘટાડો થયો હતો. જોકે 18 જુલાઈના રોજ એક દાતાનું હૃદય ઉપલબ્ધ થયું હતું અને કોવિડ સ્થિતિના પડકારોમાંથી બહાર આવીને આ મહિલાની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી KDAHના ડૉ. નંદકિશોર કાપડિયાએ એમની ટીમ સાથે સફળતાપૂર્વક હાથ ધરી હતી.

દર્દીની સ્થિતિ વિશે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના હાર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરના ડાયરેક્ટર ડૉ. નંદકિશોર કાપડિયાએ કહ્યું હતું કે, “મહિલા દર્દીએ 2009માં ઓપન હાર્ટ વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી હતી. વર્ષ 2012માં એમની સ્થિતિ કથળવાની શરૂઆત થઈ હતી. ગયા વર્ષે તેમના હૃદયને નિવારી ન શકાય એવું નુકસાન થયું હોવાનું નિદાન થયું હતું, જે છેવટે ફેઇલ્યર તરફ દોરી ગયું હતું અને છેલ્લાં છ મહિનાથી તેઓ પથારીવશ હતા. તેઓ વાલ્વ રિપ્લેસમેન્ટને કારણે લોહીને પાતળી કરતી દવાઓ લેતા હોવાથી સર્જરી દરમિયાન રક્તનું ઘણું વહન થયું હતું અને એના કારણે ટ્રાન્સપ્લાન્ટની જટિલતામાં વધારો થયો હતો. ઉપરાંત આ પ્રકારના દર્દીઓની રોગપ્રતિકારક ક્ષમતા પણ નબળી હોય છે અને હાલની કોવિડ રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધારે ધ્યાન રાખવું પડ્યું હતું. તમામ જરૂરી પરીક્ષણો કરવામાં આવ્યાં હતાં અને સર્જરીની સફળતા માટે તમામ માપદંડોનું પાલન જરૂરી હતું. ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યું હતું અને દર્દી સ્વસ્થ થઈ રહ્યાં છે.”

ટ્રાન્સપ્લાન્ટની સફળતા ટ્રાફિક પોલીસ અને ઓથોરિટીઝના સાથ સહકારને આભારી છે, જેમણે ગ્રીન કોરિડોરની સુવિધા પૂરી પાડવા પ્રશંસનીય કામગીરી કરી હતી. પરિણામે પ્રત્યારોપણ કરવા માટે હાર્ટનું ઝડપથી અને સલામત રીતે ટ્રાન્સપોર્ટ સુનિશ્ચિત થયું હતું. વળી આ માટે દાતા પરિવારની ઉદારતા પણ જવાબદાર હતી, જેઓ રોગચાળાના સમયમાં પ ણ નિઃસ્વાર્થપણે અંગદાન કરાવવા અને દર્દીનું જીવન બચાવવા સંમત થયા હતા. સીઇઓ અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. સંતોષ શેટ્ટીએ કહ્યું હતું કે, “અમને કોવિડ રોગચાળા વચ્ચે મુંબઈમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક હાથ ધરવા પર ગર્વ છે. સફળ ટ્રાન્સપ્લાન્ટ સુનિશ્ચિત કરવા ઇન્ફેક્શનનું નિયંત્રણ માટે તમામ નીતિનિયમોનું પાલન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે મહિલાને બીજું જીવન મળ્યું હતું. આ સારવારના ઊંચા ધારાધોરણોનું ઉદાહરણ છે, જે અમે KDAHમાં પૂરું પાડ્યું છે. અમે આ મુશ્કેલ સમયમાં આ અને અન્ય હાઈ એન્ડ સુપરસ્પેશિયાલિટી કેર ઓફર કરવા આતુર છીએ.”

mumbai kokilaben dhirubhai ambani hospital