અનૈતિક સંબંધ પકડાઈ જતાં સાસુની હત્યા કરી

28 October, 2020 10:11 AM IST  |  Mumbai | Mumbai correspondent

અનૈતિક સંબંધ પકડાઈ જતાં સાસુની હત્યા કરી

અનૈતિક સંબંધ પકડાઈ જતાં સાસુની હત્યા કરી

બોરીવલીમાં પ્રેમી સાથેનો અનૈતિક સંબંધ પકડાઈ જતાં એક મહિલાએ તેની સાસુની નિર્મમ હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાસુ સૂતાં હતાં ત્યારે વહુએ તેના પ્રેમીને ઘરમાં બોલાવ્યા બાદ સાસુના માથામાં પથ્થર ફટકારીને મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. પોલીસે હત્યાના આ કેસમાં વહુ અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી.
બોરીવલી (વેસ્ટ)માં આવેલા ગોરાઈ રોડ પરના મહાત્મા ફુલેનગરમાં રહેતી ૫૦ વર્ષની સાળુબાઈ કચરુ લાખે નામની મહિલાનો મૃતદેહ તેના ઘરમાં લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા બાદ બોરીવલી પોલીસે તપાસ હાથ ધરી હતી. આ હત્યા મરનાર સાળુબાઈની વહુ અને તેના પ્રેમીએ મળીને કરી હોવાનું જણાતાં બન્નેની ધરપકડ કરવામાં આવી હતી.
બોરીવલી પોલીસના જણાવ્યા મુજબ મરનાર સાળુબાઈની પુત્રવધૂના એક યુવક સાથે અનૈતિક સંબંધ હતા. ૨૪ ઑક્ટોબરે તેમણે બન્નેને ઘરની સામેના શૌચાલયમાં કઢંગી હાલતમાં જોયાં હતાં. આથી સાળુબાઈએ પુત્રવધૂને કહ્યું હતું કે બહારગામ ગયેલો પુત્ર ઘરે આવશે ત્યારે તેને કહી દઈશ.
સાસુની વાતથી ગભરાઈ ગયેલી વહુએ તેના પ્રેમીને આ વાત કરી હતી. બન્નેએ પોતાનું પાપ છુપાવવા માટે સાળુબાઈની હત્યા કરવાની યોજના બનાવી હતી. આરોપી વહુએ પ્લાન મુજબ ઘરની સામેની ગટર પાસેનો મોટો પથ્થર ઘરમાં મૂકી દીધો હતો. રાત્રે તેણે ઘરનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો.
બાદમાં વહુ ગરબે રમવા જવાનું કહીને ઘરની બહાર જતી રહી હતી. સાળુબાઈ સૂઈ ગયા બાદ વહુનો પ્રેમી ઘરમાં આવ્યો હતો અને તેણે ઊંઘી રહેલી સાળુબાઈના માથામાં પથ્થર ફટકારીને તેમની હત્યા કરી નાખી હતી અને પલાયન થઈ ગયો હતો.
થોડા સમય બાદ સાળુબાઈની વહુ ઘરે આવી હતી અને તેણે સાસુને કોઈકે મારી નાખ્યાં હોવાની બૂમાબૂમ કરી મૂકીને બધાને એકઠા કર્યા હતા. કોઈકે જાણ કરતાં બોરીવલી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
બોરીવલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર લક્ષ્મણ ડુંબરે અને તેમની ટીમે સાળુબાઈની હત્યાની તપાસ કરતાં જણાયું હતું કે તેમની વહુના કોઈક યુવક સાથે અનૈતિક સંબંધ છે અને એમાં જ આ હત્યા કરાઈ છે. આથી પોલીસે સાળુબાઈની વહુને તાબામાં લઈને પૂછપરછ કરતાં તે ભાંગી પડી અને ગુનો કબૂલી લેતાં પોલીસે તેની અને તેના પ્રેમીની હત્યા કરવાના આરોપસર ધરપકડ કરી હતી.

mumbai mumbai news