01 November, 2020 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૉલેજિયન સ્ટુડન્ટને ભગાવી જવાના આરોપસર ધરપકડ કરાયેલો યુવક
માટુંગાની એક કૉલેજમાં ભણતી સગીરા માર્ચ મહિનામાં અચાનક ગાયબ થઈ ગઈ હતી. બદલાપુરમાં રહેતા તેના પરિવારે પોલીસમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. આ મામલામાં માટુંગા પોલીસે સગીરાને ભગાવી જવાના આરોપસર અેક યુવકની ધરપકડ કરવાની સાથે તેની પાસેથી સગીરાને છોડાવી હોવાનું જાણવા મળ્યું હતું.
માટુંગા પોલીસે જણાવ્યા મુજબ બદલાપુરમાં રહેતી યુવતી માટુંગામાં આવેલી એક કૉલેજમાં ભણતી હતી. તે ૧૩ માર્ચથી અચાનક ગાયબ થઈ ગઈ હતી. પરિવારજનોઅે ખૂબ શોધખોળ કર્યા બાદ પણ સગીરાનો પત્તો ન લાગતાં માટુંગા પોલીસ-સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવાઈ હતી.
સગીરાના ફોનકૉલ્સ પરથી જણાયું હતું કે કોઈક આદિત્ય નલાવડે નામનો યુવક તેને ફોસલાવીને ભગાવી ગયો છે. આથી પોલીસે મિસિંગની સાથે અપહરણનો કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. તાજેતરમાં જણાયું હતું કે આરોપી સગીરા સાથે નાંદેડમાં છે. પોલીસ નાંદેડ જઈને આરોપીને પકડવાની સાથે તેની પકડમાંથી સગીરાને છોડાવીને મુંબઈ લાવી હતી. આ મામલામાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
માટુંગા પોલીસે મિસિંગ અને સગીરાના અપહરણનો કેસ આઠ મહિને ઉકેલીને આરોપીને પકડવામાં સફળતા મળી હોવાનું માટુંગા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિજયસિંહ ઘાટગેએ કહ્યું હતું.