મુલુંડની હોટેલમાં કેનિયરનું શંકાસ્પદ મૃત્યુ

14 February, 2020 12:50 PM IST  |  Mumbai Desk

મુલુંડની હોટેલમાં કેનિયરનું શંકાસ્પદ મૃત્યુ

કેન્યાથી ઇન્ટરનૅશનલ કરાટે ટુર્નામેન્ટ જોવા આવેલા સાયરસ ઓમોન્ડી મુલુંડના કાલિદાસ નાટ્ય મંદિરમાં આયોજિત એક કરાટે ટુર્નામેન્ટ જોવા આવ્યા હતા અને એન. એસ. રોડ પર આવેલી ત્રિમૂર્તિ હોટેલમાં રોકાયા હતા. ૧૧મીએ ક્રિકેટ ટુર્નામેન્ટનો કાર્યક્રમ પતાવીને તેઓ હોટેલમાં આવીને રાતે સૂઈ ગયા હતા. ૧૨મીએ સવારે તેમની સાથે આવેલા અન્ય લોકોએ તેમનો સંપર્ક કરવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો, પણ  ફોન ઊપડ્યા નહોતા કે દરવાજો પણ નહોતો ખૂલ્યો. એટલે સાથે આવેલા લોકોને કાંઈક શંકાસ્પદ બન્યાનું લાગ્યું એટલે તેમણે રૂમને માસ્ટર-કી વડે ખોલાવ્યું હતું. રૂમની અંદર જોતાં જોવા મળ્યું કે સાઇરશ જમીન પર ઢળી પડ્યા હતા. તેમણે તરત જ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને તેમને મુલુંડની અગ્રવાલ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. હૉસ્પિટલમાં ડૉક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા.

મુલુંડના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘સાઇરસ ૬ ફેબ્રુઆરીએ મુંબઈ આવ્યા હતા અને ૧૬મીએ પાછા જવાના હતા. તેઓ કેન્યા સરકારના મોટી પોસ્ટના સરકારી અધિકારી છે એની તપાસમાં જાણ થઈ હતી. જોકે હજી સુધી તેમનું મૃત્યુ કેવી રીતે થયું એની ખબર પડી નથી. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની તપાસ શરૂ કરવામાં આવશે. હમણાં મુલુંડ પોલીસે એડીઆર કેસ નોંધ્યો છે. પોલીસને શંકા છે કે સાયરસને હાર્ટ-અટૅક આવ્યો હશે, પણ આ બાબતની જાણ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ થશે.

mumbai mumbai news