23 November, 2012 03:05 AM IST |
કસબને ફાંસી આપવાની તૈયારી કેટલાક દિવસ પહેલાંથી જ શરૂ થઈ ગઈ હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ તેની દયાની અરજી ફગાવી દીધી હોવાની જાણ કરતો લેટર રાજ્ય સરકારને આવતાં જ પ્રિઝન ડિપાર્ટમેન્ટનાં ચીફ સેક્રેટરી મેઘા ગાડગીળે ગૃહપ્રધાન આર. આર. પાટીલને મળી તેમની પરમિશન લઈને કસબને ફાંસી આપવાની કાર્યવાહી શરૂ કરી હતી. શિવસેનાના પ્રમુખ બાળ ઠાકરેની અંતિમયાત્રાની તૈયારીઓ ચાલી રહી હતી અને મિડિયાનું ધ્યાન ત્યાં હતું તથા ચૅનલો એનું કવરેજ કરી રહી હતી ત્યારે મેઘા ગાડગીળ અને મીરા બોરવણકરે કસબને પુણે લઈ જવાની તૈયારીઓ કરી હતી. તેને પુણે લઈ જતાં પહેલાં બહુ જ ઓછા પોલીસ-અધિકારીઓને આ બાબતની જાણ કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેને આ બાબતે જાણ કરવામાં આવી હતી. કસબને ફાંસી આપવા જલ્લાદની નિમણૂક કરવાથી માંડીને તેને ક્યાં દફનાવવામાં આવશે એ માટેની યોજનામાં મેઘા ગાડગીળ અને મીરા બોરવણકરે મહત્વનો ભાગ ભજવ્યો હતો. બુધવારે કસબને દફનાવ્યા બાદ Operation X સક્સેસફુલ રહ્યું છે એવો મેસેજ ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવ્યો હતો.
૨૬/૧૧ના હુમલામાં કસબના માર્યા ગયેલા નવ સાગરીતોને પણ ગુપ્ત રીતે દફનાવવામાં આવ્યા એ વખતે આઇએએસ ઑફિસર ચંદ્રા આયંગરે મહત્વની કામગીરી બજાવી હતી. તેમને દફનાવ્યા બાદ એ વિશેની માહિતી આર. આર. પાટીલે જાહેર કરી હતી. એ ઑપરેશનની માહિતી પણ એ વખતે ગૃહપ્રધાન આર. આર. પાટીલ, ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડના ચીફ રાકેશ મારિયા અને ચંદ્રા આયંગરને જ હતી. આમ આ બન્ને મહત્વના ઑપરેશનમાં મહિલા-અધિકારીઓનો પણ મહત્વનો ફાળો રહ્યો હતો.