13 September, 2020 05:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: એએનઆઈ
અભિનેત્રી કંગના રનોટ (Kangana Ranaut)એ આજે રવિવારે એટલે કે 13 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshiyari)ની મુલાકાત લીધી છે. કંગનાએ રાજ્યપાલ સાથે પોતાની ઓફિસમાં બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ કરેલી તોડફોડ અંગે વાત કરી હોવાનું માનવામાં આવે છે. કંગના પોતાની બહેન રંગોલી સાથે આવી હતી.
કંગના રનોટે એક નાગરિક હોવાને નાતે તેની સાથે જે પણ થયું તે અંગેની વાત રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને કહી હતી. તેની સાથે જે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો તે વાત પણ તેણે કરી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે, 'તેમણે મારી વાત દીકરી માનીને સાંભળી હતી. રાજકારણ સાથે મને કોઈ લેવા-દેવા નથી. આશા છે કે મને ન્યાય મળશે.'
આ પહેલા રાજ્યપાલ ભગતસિંહે કોશ્યારીએ BMCની કાર્યવાહી પર નારાજગી પ્રગટ કરી હતી. તેમણે આ અંગે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પ્રમુખ એડવાઈઝર અજોય મહેતા સાથે વાત કરી હતી. સૂત્રોના મતે, રાજ્યપાલ આ સંપુર્ણ વિવાદ અંગે એક રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્રને મોકલવાના છે.
તમને જણાવી દઈએ કે, અભિનેત્રીએ રાજ્યપાલને મળતા પહેલા ટ્વીટ કર્યું હતું. જેમાં લખ્યું હતું કે, વાહ, દુર્ભાગ્યથી ભાજપ ડ્રગ્સ તથા માફિયા રેકેટનો પર્દાફાશ કરનારને સપોર્ટ કરે છે. જોકે, તેણે શિવસેનાના ગુંડાઓની જેમ મારો ચહેરો તોડવાની, મારી પર દુષ્કર્મ કરવાની તથા મારા લિંચિંગમાં સાથે આપવાની જરૂર હતી. નહીં સંજયજી? તેમની હિંમત કેવી રીતે થઈ કે જે માફિયાની સામે ઊભી રહે તેને સુરક્ષા આપે.
હવે અભિનેત્રી આવતી કાલે ફરી હિમાચલ પ્રદેશ જવા રવાના થશે. કંગના રનોટ નવ સપ્ટેમ્બરના રોજ મુંબઈ આવી હતી અને 14 સપ્ટેમ્બરે પરત હિમાચલ પ્રદેશ જશે. તે પુરા સાત દિવસ પણ મુંબઈમાં રહી નથી.