રાજકારણીઓ, રાજકીય પક્ષોની દહી હંડીઓમાં ઘટાડો

24 August, 2019 10:21 AM IST  |  મુંબઈ

રાજકારણીઓ, રાજકીય પક્ષોની દહી હંડીઓમાં ઘટાડો

 વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી મોટી સંખ્યામાં રાજકારણીઓ અને રાજકીય પક્ષોની મટકીઓ બંધાવાની અને સેલિબ્રિટીઝની હાજરીમાં દહીહંડીના આયોજનની અપેક્ષા રાખવામાં આવતી હતી, પરંતુ આ વખતે ઊલટું રાજકીય ઝાકઝમાળ ધરાવતી દહીહંડીઓની સંખ્યા સાવ ઘટી ગઈ છે. અગાઉ કૉન્ગ્રેસ અને એનસીપીના નેતાઓની જેમ દહીહંડીનું જોર હાલ દેખાતું નથી. વળી શિવસેના, બીજેપી અને મનસેના કાર્યકરોમાં પણ દહીહંડીના આયોજન બાબતે ગરબડ-ગોટાળા જોવા મળે છે. આ વર્ષે આયોજન બાબતે વરિષ્ઠ નેતાઓ તરફથી કોઈ સૂચના નહીં અપાતાં કાર્યકરો મૂંઝવણમાં મુકાયા છે.

ગિરગામ, દાદર, કુર્લા, ભાંડુપ, ઘાટકોપર, બોરીવલી અને ચારકોપ જેવા અનેક વિસ્તારોનાં પોલીસ સ્ટેશનોમાં દહીહંડીના આયોજન માટે પરવાનગી માગતી અરજીઓની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો થયો છે. આ તહેવાર માટે ગોવિંદાઓનો વીમો ઉતારનારાં મંડળોની સંખ્યા પણ ૯૦૦થી ઘટીને ૬૦૦ આસપાસ નોંધાઈ છે.
થાણે શહેર અને આસપાસનાં નગરો મટકી ફોડવાના તહેવાર દહીહંડીની ઉજવણીના ધામ ગણાય છે. દર વર્ષે થાણેમાં જન્માષ્ટમીનાં ત્રણેક અઠવાડિયાં પહેલાં ગોવિંદાની ધમાલ શરૂ થઈ જતી હોય છે. આ વખતે છેલ્લા એક અઠવાડિયાથી સહેજ પણ ઉત્સાહ કે દોડધામ જોવા મળતા નહોતા. લાખો રૂપિયાનાં ઇનામોની જાહેરાત સાથે સૌથી ઊંચા પિરામિડ્સ રચવાની હુંસાતુંસી પણ ટાઢી પડી ગઈ છે. આ વખતે થાણેમાં લાખો રૂપિયાનાં ઇનામો અને બૉલીવુડની સેલિબ્રિટીઝની હાજરીમાં શોરબકોર વચ્ચે કલાકારોના પરફોર્મન્સનાં દૃશ્યોની જનતાની અપેક્ષા પણ ધુંધળી થઈ ગઈ છે.

રાજ્યમાં દુકાળ પછી અતિવર્ષા અને પૂર, તહેવારોને આર્થિક પીઠબળ આપતા વેપારીઓ અને ઉદ્યોગપતિઓને પડેલો મંદીનો ફટકો તેમ જ આયોજકોની આંતરિક મૂંઝવણો અને ગૂંચવણો જેવાં કારણોને લીધે દહીહંડીનું જોશ ટાઢુંબોળ પડી ગયું હોવાનું કહેવાય છે.

janmashtami mumbai news