બરફના ગોળાને કારણે વધ્યા છે ગૅસ્ટ્રોના કેસ?

02 May, 2022 12:39 PM IST  |  Mumbai | Prajakta Kasale

સ્ટૉલ અને રેસ્ટોરાંમાં ઉપયોગમાં લેવાતા બરફ અને પાણીમાં ગૅસ્ટ્રો માટે જવાબદાર ઈ-કોલાઇ બૅક્ટેરિયા હોવાની સુધરાઈ અને એફડીએને શક્યતા લાગે છે

મુંબઈમાં ગૅસ્ટ્રોના કેસ ફરી વધ્યા છે ત્યારે શિવાજી પાર્ક નજીક લોકો બરફના ગોળાનો આનંદ ઉઠાવી રહ્યા હતા. (તસવીર : બિપિન કોકાટે)

શહેરમાં ફરી એક વાર ગૅસ્ટ્રોના કેસ વધ્યા છે. કેટલાક રહેવાસીઓ એના માટે સુધરાઈના દૂષિત પાણીને જવાબદાર ગણે છે. જોકે સુધરાઈ કેસમાં થયેલા વધારા માટે ખરાબ બરફને જવાબદાર ગણે છે, કારણ કે રોગચાળા બાદ કોઈ પણ પ્રકારની ગુણવત્તાની ચકાસણી હાથ ધરાઈ નથી. દેશમાં કોવિડનું આગમન થયા પહેલાં ૨૦૨૦માં સુધરાઈ તથા ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન રોડ પર આવેલા સ્ટૉલ અને રેસ્ટોરાંમાં ઉપયોગમાં લેવાતા બરફ અને પાણીની ચકાસણી કરતું હતું, જેમાં ગૅસ્ટ્રો માટે જવાબદાર ઈ-કોલાઇ બૅક્ટેરિયા મળી આવતા હતા.

આ વર્ષે મુંબઈગરાઓ બહાર નીકળ્યા છે તેમ જ એપ્રિલ મહિનામાં જ ગરમીથી પરેશાન લોકો જૂસ તેમ જ અન્ય ઠંડું પાણી પીતા હોય છે જેમાં વપરાતા બરફ અને પાણીની ગુણવત્તાની કોઈ ચકાસણી કરાઈ નથી. સુધરાઈના હેલ્થ ડિપાર્ટમેન્ટે આપેલી માહિતી મુજબ એપ્રિલ મહિનામાં દરરોજ સરેરાશ ૧૭ લોકો ગૅસ્ટ્રોનો શિકાર બન્યા હતા. જાન્યુઆરી મહિનામાં ગૅસ્ટ્રોના ૨૪૫, ફેબ્રુઆરીમાં ૩૪૩, માર્ચમાં ૪૮૨ અને ૨૭ એપ્રિલ સુધીમાં ૪૭૮ કેસ નોંધાયા છે. આ આંકડાઓ ગૅસ્ટ્રોના કેસમાં સતત થઈ રહેલો વધારો સૂચિત કરી રહ્યા છે. ખાનગી હૉસ્પિટલો આ કેસની નોંધણી કરાવતી ન હોવાથી આ આંકડાઓ હજી વધી શકે છે.

બીએમસીના હેલ્થ વિભાગનું કહેવું છે કે સૅમ્પલ એકઠા કરવા અને એની ચકાસણી કરવી એ અમારું નહીં એફડીએનું કામ છે. એમ છતાં મહામારીને કારણે તપાસણી બંધ કરવી પડી એ પહેલાં સુધી અમે આ કામ કરતા હતા. કોવિડના પ્રતિબંધો હળવા થયાને લગભગ ૧૦ મહિના થઈ ગયા છે, પરંતુ અમને હજી સુધી અમારી ઝુંબેશ ફરી શરૂ કરવા માટેનો આદેશ મળ્યો નથી. 
એફડીએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ૨૦૨૦માં કોવિડ અને લૉકડાઉનને કારણે બધું જ બંધ હતું અને ૨૦૨૧થી અત્યાર સુધીમાં અમે બરફનાં સૅમ્પલ કલેક્ટ નથી કર્યાં.

એફડીએના જૉઇન્ટ કમિશનર શશિકાંત કેકારેએ કહ્યું હતું કે ‘કોવિડને કારણે અમારું ફોકસ અન્ય બાબતો પર વધુ હતું, પરંતુ હવે અમે વિશેષ ઝુંબેશ હાથ ધરીશું અને ઠંડાં પીણાં, શેરડીનો રસ અને સ્ટૉલ પરથી અન્ય જૂસ તથા જેમાં બરફનો ઉપયોગ થાય છે એ તમામ ઉત્પાદનોનાં સૅમ્પલ એકઠાં કરીને એનું ટેસ્ટિંગ કરીશું.’ 

mumbai mumbai news prajakta kasale