20 July, 2020 01:25 PM IST | Mumbai Desk | Ranjeet Jadhav
અધિકારીઓનું કહેવું છે કે દર વર્ષે લોકો એસજીએનપીમાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કરીને વિહાર તળાવ નજીક ગટારીની ઉજવણી કરે છે. તસવીર : રાણે આશિષ
આજે ગટારી અમાવસ્યા છે અને આવતી કાલથી હિન્દુઓનો પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે લોકો ગટારીની ઉજવણી કરવા તથા પાર્ટી મનાવવા આવતા હોઈ સંજય ગાંધી નૅશનલ પાર્કના અધિકારીઓએ તેની ગિરિમાળા પર અને વિહાર તળાવ નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું હતું.
પાર્કના અધિકારીઓએ પેટ્રોલિંગ માટે એસઆરપીએફની પણ મદદ લીધી હતી અને ઉપદ્રવ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
દર વર્ષે ચોમાસામાં ઘણા લોકો ગેરકાયદેસર રીતે આરે અને ફિલ્મ સિટી નજીક સાંઈ બંગોડા ગામની નજીકના વિહાર તળાવ તરફ જાય છે. આરે દૂધ કૉલોનીને અડીને રોયલ પામ્સ નજીકના બંગોડા ગામમાંથી પસાર થતી પગદંડી દ્વારા તળાવના કિનારે પહોંચાય છે.
એસજીએનપીના તુલસી રેંજના ફોરેસ્ટ ઑફિસર દિનેશ દેસલેએ ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અમે વિહાર તળાવ નજીકના જંગલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને સર્વેલન્સ માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી જંગલ વિસ્તારમાં ગુનાહિત કામ કરનારા લોકો સામે કાર્યવાહી થઈ શકે. ઘણા લોકો વિહાર તળાવ અને નજીકના વન વિસ્તારમાં ગટારીની ઉજવણી માટે ગેરકાયદે આવવાનો પ્રયત્ન કરી શકે છે તે ધ્યાનમાં રાખીને અમે આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દીધું છે. જે માટે એસઆરપીએફની પણ મદદ લેવામાં આવી છે. આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ફરતા જોવા મળનારા લોકો વિરુદ્ધ કાયદેસર કડક કાર્યવાહી કરાશે.
સાંઈ બંગોડા બાજુના વિહાર તળાવનો ભાગ વન વિભાગના નહીં પણ બીએમસીના અધિકારક્ષેત્રમાં છે. સંજય ગાંધી નૅશનલ પાર્ક ફોરેસ્ટ સ્ટ્રેચ તળાવની બીજી બાજુ ફિલ્મ સિટીની સરહદ છે, અહીં પણ અધિકારીઓએ પેટ્રોલિંગ વધાર્યું છે. એસજીએનપી ટીમે ગયા શનિવારે આ વિસ્તારમાં તીવ્ર પેટ્રોલિંગ શરૂ કર્યું હતું અને તે એક અઠવાડિયા સુધી ચાલુ રહેનાર હતું.