07 February, 2025 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કોના પર નિશાન તાક્યું?: પુણેમાં ગઈ કાલે નાઇબ લિમિટેડ નામની કંપનીની મુલાકાતે ગયેલા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મિસાઇલ કૉમ્પ્લેક્સમાં રાઇફલથી નિશાન તાક્યું હતું. આ વિઝિટમાં તેમની સાથે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને જળ સંસાધન ખાતાના પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલ પણ હતા
પુણે નજીકના પિંપરી-ચિંચવડ પોલીસ કમિશનરેટના શિલાન્યાસ પ્રસંગે ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને ગૃહખાતાનો અખત્યાર સંભાળતા દેવેન્દ્ર ફડણવીસે પોલીસ અધિકારીઓને ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોને હેરાન કરવાને બદલે સહકાર આપવાનું આહવાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘આપણે હવે જ્યારે ગ્લોબલ કમ્યુનિટી સાથે સંકળાઈ રહ્યા છીએ અને રાજ્યમાં જબરદસ્ત ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે ત્યારે આવા મહત્ત્વપૂર્ણ સમયે ઉદ્યોગોના લોકોને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવું જરૂરી છે અને મને ખાતરી છે કે તમે એ કરશો. અમને સમયાંતરે ઇન્ડસ્ટ્રીઝ તરફથી હેરાનગતિ, બ્લૅકમેઇલિંગ અને ખંડણીની ફરિયાદો મળતી રહે છે. આવું હવે કોઈ હિસાબે નહીં ચલાવી લેવાય; પછી ભલે એ ટ્રબલમેકર અમારી, અજિતદાદાની કે એકનાથ શિંદેજીની પાર્ટીનો હોય; બધા સામે ઍક્શન લેવામાં આવશે. કોઈ ફરક નથી પડતો. જો કોઈ ઇન્ડસ્ટ્રીઝને હેરાન કરતું હોય તો તેમની સામે મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (MCOCA) જેવા કડક કાયદા હેઠળ ગુનો નોંધીને ઍક્શન લો, એનાથી ઓછું કંઈ નહીં.’