25 November, 2023 08:47 AM IST | Mumbai | Priti Khuman Thakur
એમએનએસ દ્વારા વિવિધ ઠેકાણે મરાઠી સાઇનબોર્ડ્સ માટે લગાડેલાં પોસ્ટરોમાં દુકાનદારોને ચીમકી અપાઈ છે.
મુંબઈ : ઘણા સમયથી દુકાનોનાં પાટિયાં એટલે કે સાઇનબોર્ડ્સ મરાઠીમાં હોવાં જોઈએ એના પર વેપારી સંગઠનોનું શીત યુદ્ધ ચાલતું હતું. જોકે સુપ્રીમ કોર્ટે મરાઠીમાં સાઇનબોર્ડ્સ કરવા માટે વેપારીઓને બે મહિનાની મુદત આપી હતી જે આજે પૂરી થાય છે. જોકે જે દુકાનો પર આજથી મરાઠી ભાષાનાં પાટિયાં ચડ્યાં નહીં હોય એમના પર દંડાત્મક કાર્યવાહીની બીએમસી તૈયારી કરે એ પહેલાં જ છેલ્લા બે દિવસથી મુંબઈમાં એમએનએસએ અનેક ઠેકાણે પોસ્ટરો લગાડીને ચીમકી આપી દીધી છે. પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે ૨૬ નવેમ્બરે દુકાનોનાં પાટિયાં મરાઠી સિવાય અન્ય ભાષાનાં હશે અને બીએમસી કે પોલીસે એના પર કાર્યવાહી કરી નહીં હોય તો એમએનએસની સ્ટાઇલ જોવા મળશે અને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવવામાં આવશે.
મરાઠી પાટિયાંનો જ ફક્ત વિષય નથી, પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું અવમાન થવું ન જોઈએ એમ કહેતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના મહારાષ્ટ્રના જનરલ સેક્રેટરી નયન કદમે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાની અવગણના થવી ન જોઈએ. સુપ્રીમ કોર્ટે વેપારી સંગઠનોને બે મહિનાની મુદત આપી હતી અને બે મહિનામાં અનેક દુકાનો પર હજી પણ બદલાવ કરેલો જોવા મળી રહ્યો નથી. એટલે એનો અર્થ એવો છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશનો પણ આદર કરાઈ રહ્યો નથી. જો આ લોકો કાયદાનું પાલન કરતા નથી તો પછી અમે કાયદાનું પાલન કરાવવા કાયદો તોડીએ એમાં ખોટું શું છે? આજે બીએમસી મરાઠી સિવાયની ભાષાનાં પાટિયાંને નીચે ઉતારીને કાર્યવાહી કરે છે કે નહીં અથવા પોલીસ કોર્ટના આદેશની અમલબજાવણી કરાવે છે કે નહીં એના પર અમારી નજર રહેશે. ૨૬ નવેમ્બરે બપોર બાદ અમને કોઈ પણ જગ્યાએ મરાઠી સાઇનબોર્ડ સિવાયનાં પાટિયાં દેખાયાં તો અમે એમએનએસની સ્ટાઇલથી એનો વિરોધ કરીશું. અમે ઠેકઠેકાણે લગાડેલાં પોસ્ટરોમાં ૨૫ નવેમ્બર છેલ્લી તારીખ છે. જો મરાઠીમાં બોર્ડ નહીં લગાવવામાં આવે તો ૨૬મીએ અમારી સ્ટાઇલમાં જવાબ આપવામાં આવશે એવું સ્પષ્ટ લખ્યું હોવાથી પોલીસ દ્વારા પણ અમને ફોન આવી
ગયા છે.’