પોલીસે જબરદસ્તી માફી માગવાનું કહ્યું : શાહીન

21 November, 2012 05:58 AM IST  | 

પોલીસે જબરદસ્તી માફી માગવાનું કહ્યું : શાહીન



નવીન નાયર

બુધવાર, તા. ૨૧

માફી માગ્યા બાદ શાહીને પોતાનું ફેસબુક-અકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું હતું. તેના પરિવારે દાવો કર્યો છે કે તેના નામે ખોટું અકાઉન્ટ શરૂ કરવામાં આવ્યું છે અને પોલીસે પણ એવી જ માહિતી આપી હતી. પોતાના ઇન્ટરવ્યુમાં શાહીને આરોપ મૂક્યો છે કે ફેસબુકમાં તેની પોસ્ટ બાદ સ્થાનિક પોલીસ તેના ઘરે આવી હતી અને પોસ્ટ હટાવવા તથા માફી માગવા કહ્યું હતું. જોકે પછીથી તેના પિતા ફારુક ધડાએ ફેરવી તોળતાં કહ્યું હતું કે પોલીસ મારા ઘરે આવી જ નહોતી.

શાહીને કહ્યું હતું કે ‘રવિવારે ૭ વાગ્યે પોલીસ મારા ઘરે આવી હતી અને ફેસબુક-પોસ્ટ વિશે માફી માગવા તથા પોસ્ટ ડિલીટ કરવા કહ્યું હતું. ત્યાર બાદ અમારો પરિવાર પોલીસ-સ્ટેશન ગયો. ત્યાં કેટલાક લોકો મારી રાહ જોઈ રહ્યા હતા. મને લેખિત માફી માગવા કહ્યું હતું. હું લેખિત માફી માગીને ઘરે પાછી આવી છતાં મારી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી અને મને પોલીસ-કસ્ટડીમાં રાખવામાં આવી.’

‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં રેણુ શ્રીનિવાસને કહ્યું હતું કે હું શાહીનને અંગત રીતે નથી ઓળખતી. અમે ફેસબુક-ફ્રેન્ડ છીએ. અમે બન્ને એક જ કૉલેજમાં અભ્યાસ કરીએ છીએ.