30 November, 2020 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર
કોરોનાને લીધે રાજ્ય સરકાર આગામી એસએસસી અને એચએસસીની પરીક્ષા બે મહિના પાછળ ધકેલે એવી શક્યતા છે. રાજ્યનાં શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે આ બાબતે ગઈ કાલે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે કોરોનાને લીધે ફેબ્રુઆરીમાં લેવાતી એચએસસીની પરીક્ષા એપ્રિલમાં અને માર્ચ મહિનામાં લેવાતી એસએસસી બોર્ડની પરીક્ષા મે મહિનામાં યોજવા બાબતે વિચાર કરાઈ રહ્યો છે. અત્યારે સ્કૂલ-કૉલેજ બંધ છે અને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા નજીક આવી હોવાનું ટેન્શન ઓછું થાય એ માટે સરકાર આમ વિચારી રહી છે. વર્ષા ગાયકવાડે ગઈ કાલે કહ્યું હતું કે ‘સામાન્ય રીતે એસએસસી બોર્ડની પરીક્ષા માર્ચ અને એચએસસીની પરીક્ષાની શરૂઆત ફેબ્રુઆરી મહિનામાં શરૂ થાય છે. આ વર્ષે કોરોનાને લીધે સ્થિતિ જુદી હોવાથી હજી સુધી સ્કૂલ કે કૉલેજ શરૂ નથી થઈ શકી. આથી જુદા-જુદા સ્તરના વિદ્યાર્થીઓને એક જ લેવલ પર લાવવાની સાથે સિલેબસ ૨૫ ટકા ઓછો કરવાનો વિચાર પણ કરાઈ રહ્યો છે.